નવી દિલ્હી, 1 મે : પોતાના મત વિસ્તાર રાણીપ વોટિંગ દરમિયાન પ્રેસ કોન્ફ્રેન્સમાં કમળનું નિશાન બતાવવા પર મોદીની વિરુધ્ધ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ કોંગ્રેસે આ મામલામાં આગળ સુધી જવાની વાત પણ કહી છે. કોંગ્રેસનું કહેવું છે કે જો મોદી વડોદરાથી ચૂંટણી જીતે છે તો મોદીની ઉમેદવારી રદ કરવા માટે કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે.
કેસ દાખલ થયા બાદ નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ મામલાથી કોંગ્રેસની હતાશા જાહેર થાય છે. મોદીએ જણાવ્યું કે કોંગ્રેસ આ વાતથી પરેશાન છે કે એક ચાવાળો તેમને પડકાર આપી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વિરુધ્ધ આદર્શ આચાર સંહિતાના ભંગના મામલામાં એફઆઇઆર નોંધવામાં આવી છે. બુધવારે રાણીપમાં પોતાનો વોટ આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ પાર્ટીનું ચૂંટણી નિશાન બતાવતા મીડિયાને સંબોધિત કર્યા હતા. કોંગ્રેસે તેની વિરુધ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. પંચે તપાસ બાદ ફરિયાદને માન્ય ગણાવી હતી અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા હતા.