ડરાવી રહ્યા છે મોતના આંકડા, 24 કલાકમાં કોરોનાથી 733 લોકોના મોત, 16156 નવા દર્દી
કોરોના વાયરસના દૈનિક કેસો અને મોતની સંખ્યાએ એક વાર ફરીથી આરોગ્ય મંત્રાલયની ચિંતાઓ વધારી દીધી છે
નવી દિલ્લીઃ કોરોના વાયરસના દૈનિક કેસો અને મોતની સંખ્યાએ એક વાર ફરીથી આરોગ્ય મંત્રાલયની ચિંતાઓ વધારી દીધી છે. ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 16156 નવા દર્દી મળ્યા છે જ્યારે 733 લોકોના મોત થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 17095 દર્દી રિકવર થયા છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ દેશમાં હવે કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ વધીને 98.19 ટકા થઈ ગયો છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી કોરોના વાયરસથી કુલ 3,36,14,434 દર્દી રિકવર થઈ ચૂક્યા છે અને વર્તમાન રિકવરી રેટ માર્ચ 2020 બાદથી સૌથી વધુ છે. દર્દીના રિકવર થવાની ગતિ વધવાથી કોરોના વાયરસના સક્રિય કેસ પણ ઘટ્યા છે અને દેશમાં હાલમાં 1,60,989 સક્રિય દર્દી બચ્યા છે. જો કે, મોતની સંખ્યા વધવી સૌથી મોટી ચિંતાની વાત છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દેશના અલગ-અલગ રાજ્યોમાં 4,56,386 લોકોના મોત થઈ ચૂક્યા છે.
કોલકત્તામાં વધ્યા કોરોના કેસ, સોનારપુરમાં લાગ્યુ લૉકડાઉન
તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં અમુક રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં એક વાર ફરીથી ઝડપથી વધ્યા છે. પશ્ચિમ બંગાળ પણ એ રાજ્યોમાં શામેલ છે અને રાજધાની કોલકત્તામાં દુર્ગા પૂજા બાદ કોરોના વાયરસના કેસોમાં 25 ટકાનો વધારો થયો છે. સ્થિતિને જોતા કોલકત્તાના સોનારપુર નગર પાલિકા ક્ષેત્રમાં ગુરુવારથી ત્રણ દિવસનુ લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. રાજ્ય સરકારે પોતાના આદેશમાં કહ્યુ કે લૉકડાઉન દરમિયાન માત્ર જરૂરી અને ઈમરજન્સી સેવાઓ માટે છૂટ રહેશે. આ ઉપરાંત બધી દુકાનો અને માર્કેટ બંધ રહેશે.