કોરોનાની વેક્સીનનો સિંગલ ડોઝ મોતને રોકવામાં 96.6% પ્રભાવી, બીજો ડોઝ 97.5%: સરકારી ડેટા
આરોગ્ય મંત્રાલયે એક ડેટા જાહેર કર્યો છે જેનાથી એ જાણવા મળ્યુ છે કે કોરોના વેક્સીનનો સિંગલ ડોઝ મોતને રોકવામાં 96.6% પ્રભાવી છે.
નવી દિલ્લીઃ આરોગ્ય મંત્રાલયે એક ડેટા જાહેર કર્યો છે જેનાથી એ જાણવા મળ્યુ છે કે કોરોના વેક્સીનનો સિંગલ ડોઝ મોતને રોકવામાં 96.6% પ્રભાવી છે. વળી, કોવિડ-19 વેક્સીનનો બીજો ડોઝ 97.5% પ્રભાવી છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે(9 સપ્ટેમ્બર) જાહેર રાષ્ટ્રીય રસીકરણ અભિયાનના ચાર મહિનાના આંકડાઓ પર રિસર્ચ કર્યા બાદ આ ડેટા જાહેર કર્યો છે. સરકારી ડેટામાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે વેક્સીન ગંભીર બિમારીથી લગભગ પૂર્ણ રીતે સુરક્ષા આપે છે અને કોરોનાથી થતી મોતથી પણ બચાવવામાં સક્ષમ છે.
18 એપ્રિલથી 15 ઓગસ્ટ વચ્ચે કોવિડ-19 રસીકરણના રીયલ ટાઈમ ડેટાથી જાણવા મળ્યુ છે કે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધા બાદ તે મોતને રોકવામાં 97.5 ટકા પ્રભાવશાળી છે. રસી મોતને રોકવામાં કેટલી સક્ષમ છે તેને લઈને જાહેર કરવામાં આવેલા આંકડા મહત્વના છે. દેશમાં વયસ્ક વસ્તીના 58 ટકાને પહેલો ડોઝ મળી ચૂક્યો છે. વળી, 18 ટકા સંપૂર્ણપણે વેક્સીનેટ છે એટલે કે તેમને બંને ડોઝ લાગી ચૂક્યા છે.
ભારતના કોવિડ-19 ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ. વી કે પૉલે કહ્યુ, 'આ ડેટાથી જાણવા મળે છે કે રાષ્ટ્રીય રસીકરણ અભિયાનમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલ રસી, પહેલા ડોઝ પછી પણ ગંભીર બિમારી અને મૃત્યુ સામે 95 ટકા સુધી સુરક્ષા આપે છે. એ સ્પષ્ટ છે કે મહામારી સામે પોતાની લડાઈમાં આપણે જે ટૂલનો ઉપયોગ કરી રહ્યા છે તેમાં વેક્સીન સૌથી મહત્વની છે. વેક્સીન કોરોના સામે સૌથી મહત્વપૂર્ણ કવચ છે જે આપણને મોતથી બચાવી રહ્યુ છે. એ પણ સ્પષ્ટ છે કે જો તમે વેક્સીનના બંને ડોઝ લો છો તો ગંભીર બિમારી અને મૃત્યુથી લગભગ પૂર્ણ સુરક્ષા થાય છે.'
ડૉ.વી કે પૉલે કહ્યુ, 'આપણી પાસે હાલમાં વેક્સીનની કમી નથી. માટે જે લોકોએ હજુ સુધી વેક્સીનનો પહેલો ડોઝ પણ ન લીધો હોય તેણે તે લેવાની જરૂર છે. આપણે 100 ટકા ફર્સ્ટ ડોઝ કવરેજને વધુ ઝડપથી મેળવવાનુ છે કારણકે વેક્સીન જ કોરોનાથી થતી મોતને રોકી શકે છે.'
વળી, બાળકોની કોરોના વેક્સીન વિશે ડૉ. વી કે પૉલે કહ્યુ કે કેન્દ્ર સરકાર બાળકોને કોરોના વેક્સીન આપવા માટે વૈજ્ઞાનિક માન્યતા પ્રાપ્ત કરવા માટે સક્રિય રીતે કામ કરી રહી છે. તેમણે જણાવ્યુ કે ઝાયડસ કેડિલાને પહેલેથી જ બાળકો પર ઉપયોગ માટે લેવા માટે લાયસન્સ આપવામાં આવી ચૂક્યુ છે અને કોવેક્સીનની પણ ટ્રાયલ પૂરી થવામાં છે. તેમણે કહ્યુ કે એક વાર પરિણામ આવ્યા બાદ વધુ એક વેક્સીન ઉપલબ્ધ થઈ જશે.