સંત બનવા 3 વર્ષની પુત્રી,કરોડોની સંપત્તિનો ત્યાગ કરશે દંપતી
મધ્યપ્રદેશનું એક દંપતી જૈન સંત બનવા માટે તેમની 100 કરોડની સંપત્તિ અને 3 વર્ષની પુત્રીને છોડવા તૈયાર થઇ ગયું છે.
વૈભવ-વિલાસની જિંદગી જીવવા માટે આજે લોકો શું નથી કરતા? એવા જમાનામાં એક દંપતી એવું છે, જે આ સર્વે છોડી સંન્યાસ લેવા જઇ રહ્યું છે. મધ્યપ્રદેશના આ જૈન દંપતી પાસે કરોડોની સંપત્તિ છે, પરંતુ તેમની ઇચ્છા સંત બનવાની છે અને આ કારણે જ તેમણે વિશ્વના તમામ મોહનો ત્યાગ કરવાનું નક્કી કર્યું છે. આ બંનેની એક પુત્રી પણ છે.

100 કરોડની સંપત્તિના માલિક
મધ્યપ્રદેશના નીમચ શહેરના રહેવાસી સુમિત રાઠોડ અને તેમની પત્ની અનામિકાએ સંત બનવાનો નિર્ણય લીધો છે. આ બંનેના નામે નીમચમાં 100 કરોડથી વધુની સંપત્તિ છે. નીમચમાં સુમિતના પરિવારનો ઘણો મોટો વેપાર છે. સુમિતે લંડનથી બિઝનેસમાં ડિપ્લોમા કર્યું છે, તેમણે 2 વર્ષ લંડનમાં જ નોકરી કરી હતી અને ત્યાર બાદ ફેમિલી બિઝનેસ સંભાળવા ભારત આવ્યા હતા. તેમની કંપનીની વેલ્યુ 100 કરોડથી વધુ છે અને લગભગ 100 કર્મચારીઓ તેમના હાથ નીચે કામ કરે છે.
અનામિકાના પિતા પૂર્વ ભાજપ અધ્યક્ષ
અનામિકાનો પરિવાર પણ ખાસો પ્રતિષ્ઠિત છે. તેમના પિતા અશોક ચંડાલિયા ચિત્તોડગઢ, ભાજપના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે. અનામિકા પોતે એન્જિનિયર છે અને લગ્ન પહેલા તેઓ પણ નોકરી કરતા હતા. તે સમયે તેમનો પગાર લાખોમાં હતો. લગ્ન બાદ અનામિકાએ નોકરી છોડી દીધી હતી.
3 વર્ષની પુત્રીને છોડવા તૈયાર છે દંપતી
સુમિત અને અનામિકાની ત્રણ વર્ષની પુત્રીને પણ તેઓ છોડવા તૈયાર છે. બંનેના પરિવારજનોએ તેમને સમજાવવાના અનેક પ્રયત્નો કરી જોયા છે અને આમ છતાં બંને પોતાના નિર્ણય પર અડીખમ છે. આ દંપતીનું કહેવું છે કે, તેમને આત્મકલ્યાણનો બોધ થઇ ગયો છે અને આ જ કારણે તેમણે સંત બનવાનો નિર્ણય લીધો છે. સુમિત અને અનામિકા 23 સપ્ટેમ્બરના રોજ સુરતમાં દીક્ષા લેશે.












Click it and Unblock the Notifications
