Covid19 : દેશમાં ફરીથી કોરોના સંક્રમણનું જોખમ, આ રાજ્યમાં વધ્યા કેસ
Covid19 : દેશમાં કોરોનાના 2119 સક્રિય કેસ છે. રાહતની વાત એ છે કે, દેશમાં કોરોનામાંથી રિકવરી રેટ 98 ટકાને વટાવી ગયો છે. આ વચ્ચે કેરળમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જેથી રાજ્ય સરકારે આ અંગે ગાઇડલાઇન જાહેર કરી છે.
Covid19 : કેરળમાં ફરી એકવાર કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. જે કારણે ઘણી જગ્યાઓ પર માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્ય સરકારે આ અંગે ગાઇડલાઇન પણ બહાર પાડી છે. આ અંતર્ગત તમામ જાહેર જગ્યાઓ, ઓફિસો અને સામાજિક સ્થળો પર લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું પડી શકે છે. આ સાથે રાજ્ય સરકારે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે જણાવ્યું છે.
કેરળ સરકારની સૂચના અનુસાર, માસ્ક અને સામાજિક અંતરની આ માર્ગદર્શિકા રાજ્યમાં આગામી 30 દિવસ સુધી અમલમાં રહેશે. કેરળ સરકારે તમામ દુકાનો, થિયેટરો અને વિવિધ સ્થળોએ સેનિટાઈઝરની વ્યવસ્થા કરવાની સૂચના પણ આપી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, સોમવારના રોજ દેશમાં કોરોનાના 114 નવા કેસ નોંધાયા છે. હાલ દેશમાં કોરોનાના 2119 સક્રિય કેસ છે. આ વચ્ચે રાહતની વાત એ છે કે, દેશમાં કોરોનામાંથી રિકવરી રેટ 98 ટકાને વટાવી ગયો છે.
કોરોનાના XBB 1.5 વેરિએન્ટે અમેરિકા સહિત યુરોપના ઘણા દેશોમાં હાહાકાર મચાવ્યો હતો. ભારતમાં આ પ્રકારના 26 કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજધાની દિલ્હીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નથી. હાલમાં દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા 10 છે અને તેમાંથી 9 લોકો તેમના ઘરે આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં જ્યાં આ દિવસોમાં કોરોનાથી રાહત મળી રહી છે, ત્યાં ચીનમાં મહામારીને કારણે સ્થિતિ વધુ ખરાબ બની છે. ચીનની પેકિંગ યુનિવર્સિટીના સંશોધન મુજબ ચીનમાં 64 ટકા વસ્તી એટલે કે, લગભગ 90 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
ચીનના હેનાન પ્રાંતની 89 ટકા વસ્તી, યુનાનની 84 ટકા અને કિંઘાઈ પ્રાંતની 80 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત છે. આ જ કારણ છે કે, હવે ચીનથી ફેલાયેલી કોરોના મહામારીને કારણે બાકીની દુનિયામાં પણ ફરી કોરોનાના કેસ વધવાનો ખતરો છે.