'માથામાં ઉંડો ઘા, ઈન્ટરનલ બ્લીડિંગ, લાવવામાં આવ્યા હતા મૃત...', ડૉક્ટરે જણાવ્યુ સાઈરસ મિસ્ત્રીના મોતનુ કારણ
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનુ રવિવારે મુંબઈ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ. ડૉક્ટરે જણાવ્યુ મોતનુ કારણ.
પાલઘરઃ ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનુ રવિવારે મુંબઈ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ. માર્ગ અકસ્માત બાદ કાસાની સરકારી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ રવિવારે સાયરસ મિસ્ત્રીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રીની સારવાર કરનાર ડૉક્ટરે હવે મોતનુ કારણ જણાવ્યુ છે. સાયરસ મિસ્ત્રીની સારવાર કરનાર ડૉક્ટરે જણાવ્યુ હતુ કે સાયરસ મિસ્ત્રીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ડૉક્ટરે એમ પણ કહ્યુ કે સાયરસ મિસ્ત્રીને જ્યારે અકસ્માત બાદ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમનુ મૃત્યુ થઈ ગયુ હતુ. તમને જણાવી દઈએ કે સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં ચાર લોકો સવાર હતા જેમાંથી મિસ્ત્રી સહિત બેના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટના સ્થળ પર જ થઈ ગયુ હતુ મોત
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ડૉ. શુભમ સિંહે કહ્યુ કે 'પ્રથમ બે દર્દીઓને લાવવામાં આવ્યા હતા જેમાં સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનશા પંડોલનો સમાવેશ થાય છે. બંનેને મૃત લાવવામાં આવ્યા હતા. તેમને લાવનારા સ્થાનિક લોકોએ અમને જણાવ્યુ કે સાયરસ મિસ્ત્રીનુ ઘટનાસ્થળે જ મૃત્યુ થયુ હતુ. જહાંગીર દિનશા પંડોલ ઘટના સ્થળે જ જીવતા હતા પરંતુ પરિવહન દરમિયાન તેમનુ મૃત્યુ થયુ હતુ. અમે તેમને સાંજે 5 વાગ્યાની આસપાસ મૃત જાહેર કર્ય હતા.'
સાયરસ મિસ્ત્રીના માથામાં હતો ઉંડો ઘા
ડૉક્ટરે ઉમેર્યુ, '10 મિનિટ પછી બીજી એમ્બ્યુલન્સ અન્ય બે દર્દીઓને લઈને આવી. બંનેને ઈજાઓ થઈ હતી. બંનેને પ્રાથમિક સારવાર આપીને ઉચ્ચ કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના સંબંધીઓએ તેમને રેઈનબો હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાંથી તેમને મુંબઈ લઈ જવામાં આવ્યા. ડૉક્ટરે કહ્યુ કે સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થવાનુ હતુ પરંતુ તેમને જિલ્લા કલેક્ટરનો ફોન આવ્યો કે તેમને 'નિષ્ણાતોના અભિપ્રાય' માટે જે.જે. હૉસ્પિટલમાં ખસેડવામાં આવશે. ડૉક્ટરે શુભમે કહ્યુ કે સાયરસ મિસ્ત્રીના માથામાં ઉંડો ઘા હતો અને દિનશાના ડાબા પગમાં ફ્રેક્ચર અને માથામાં ઈજા થઈ હતી. તેમનુ પોસ્ટમોર્ટમ અહીં થવાનુ હતુ પરંતુ જીલ્લા કલેકટર અને એસપીનો ફોન આવ્યો કે તેમને નિષ્ણાત અભિપ્રાય માટે જેજે હોસ્પિટલમાં ખસેડવા પડશે.
કાર અકસ્માત કેમ થયો, પોલીસે જણાવ્યુ
પાલઘરના પોલીસ અધિક્ષક બાળાસાહેબ પાટીલના જણાવ્યા અનુસાર આ દૂર્ઘટના ડ્રાઈવરે વધુ સ્પીડને કારણે કાબૂ ગુમાવવાને કારણે થઈ હતી. બાલાસાહેબ પાટીલે કહ્યુ, 'પ્રાથમિક રીતે એવુ લાગે છે કે ડ્રાઈવરે કાબૂ ગુમાવવાને કારણે અકસ્માત થયો હતો. વધુ વિગતો તપાસ બાદ જ બહાર આવશે. પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવુ લાગે છે કે અકસ્માત અતિશય ઝડપ અને ડ્રાઇવરે યોગ્ય નિર્ણય ન લેવાને કારણે થયો હતો. કારમાં 4 લોકો હતા જેમાંથી એક મહિલા હતી અને મહિલા કાર ચલાવી રહી હતી. હાલ મહિલા ઘાયલ છે અને તેની સારવાર ચાલી રહી છે.'