પોલીસ કસ્ટડીમાં યુવકનું મોત, 6 પોલીસકર્મીઓની ધરપકડ
પોલીસ કસ્ટડીમાં વિગ્નેશના મૃત્યુ બાદ ચેન્નાઈ ક્રાઈમ બ્રાન્ચના ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન વિભાગે 6 પોલીસકર્મીઓની ધરપકડ કરી છે. આ પોલીસકર્મીઓને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
ચેન્નાઈ, 08 મે : પોલીસ કસ્ટડીમાં વિગ્નેશના મૃત્યુ બાદ ચેન્નાઈ ક્રાઈમ બ્રાન્ચના ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન વિભાગે 6 પોલીસકર્મીઓની ધરપકડ કરી છે. આ પોલીસકર્મીઓને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સૈદાપેટ જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના પર તેઓને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ તમામ સામે આઈપીસીની કલમ 302 એટલે કે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય તેમની સામે SAC-SST એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. 25 વર્ષીય વિગ્નેશના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જે છ પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાં સિનિયર સ્ટેશન ઈન્સ્પેક્ટર કુમાર, હેડ કોન્સ્ટેબલ મુનાબ, પોલીસ કોન્સ્ટેબલ પુનરાજ, આર્મ્ડ રિઝર્વ કોન્સ્ટેબલ જગજીવન રામ અને ચંદ્રકુમાર અને હોમગાર્ડ દીપકનો સમાવેશ થાય છે. વિગ્નેશનું ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુ થયું હતું, જેના પગલે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન દ્વારા કેસ CB-CID ને સોંપવામાં આવ્યો હતો. આરોપ છે કે, પોલીસ અધિકારીઓએ કસ્ટડી દરમિયાન વિગ્નેશના મૃત્યુને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. શુક્રવારના રોજ આ સમગ્ર મામલામાં 9 પોલીસકર્મીઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમને તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાંથી 2ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીની ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે.
શું છે વિગ્નેશના મોતનો કેસ?
હકીકતમાં 18 એપ્રીલના રોજ, વિગ્નેશ અને સુરેશની પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ધરપકડ કરી હતી. જે ઓટોરિક્ષામાં બંને મળી આવ્યા હતા, તેમાંથી પોલીસને ગાંજા અને દારૂની બોટલ મળી આવી હતી, રિપોર્ટ અનુસાર, આ લોકો પોલીસના સવાલોના યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને સચિવાલય કોલોનીના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો, જ્યાં 19ના રોજ વિગ્નેશનું મૃત્યુ થયું હતું. જે બાદ પ્રારંભિક તપાસમાં શંકાના આધારે સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી મામલો CB-CIDમાં ગયો અને આ સમગ્ર કેસ સામે આવ્યો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ તે સ્પષ્ટ હતું કે 25 વર્ષીય વિગ્નેશના શરીર પર અનેક ઉઝરડા હતા અને કેટલાક હાડકાં તૂટી ગયા હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઘણા ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, કારણ કે વિગ્નેશના શરીર પર ખાસ કરીને તેના માથા પર ઈજાના નિશાન કેવી રીતે મળ્યા હતા. તેના જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું, મૃત્યુ પહેલા તેના શરીર પર અનેક ઘા હતા. ઓટોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, વિગ્નેશને તેની ડાબી આંખની નીચે ગંભીર ઈજા થઈ હતી, તેના ડાબા ગાલ પર ઉઝરડા પણ હતા, લોહીનો ગંઠાઈ ગયો હતો અને તેની પીઠ અને જમણા હાથ પર ગંભીર ઉઝરડા હતા.