પિતાના ઘર પર દીકરાનો કોઇ કાનૂની અધિકાર નહિ: દિલ્હી હાઇકોર્ટ
દિલ્હી હાઇકોર્ટે પોતાના એક મહત્વના ચૂકાદામાં કહ્યુ કે માતા-પિતાએ જાતે ખરીદેલા ઘર પર દીકરાનો કોઇ કાનૂની અધિકાર નથી...
દિલ્હી હાઇકોર્ટે પોતાના એક મહત્વના ચૂકાદામાં કહ્યુ કે માતા-પિતાએ જાતે ખરીદેલા ઘર પર દીકરાનો કોઇ કાનૂની અધિકાર નથી. હાઇકોર્ટે કહ્યુ કે એનાથી કોઇ ફરક નથી પડતો કે દીકરો કુંવારો છે કે પરણેલો. તે પોતાના મા-બાપની મરજી અને દયાથી જ તેમના ખરીદેલા ઘરમાં રહી શકે છે. હક જમાવીને રહી ના શકે કારણકે ઘર પર તેનો કોઇ હક બનતો નથી. કોર્ટે કહ્યુ કે જો સારા સંબંધોને કારણે માતા-પિતા પોતાના દીકરાને ઘરમાં રહેવાની પરવાનગી આપે તો એનો મતલબ એ નહિ કે દીકરો આખી જીંદગી તેમના પર બોઝ બની રહે.
વૃદ્ધ દંપત્તિએ કોર્ટમાં કરી હતી દીકરાને ઘરમાંથી કાઢવાની અપીલ
એક પતિ-પત્નીને નીચલી અદાલતે મા-બાપનું ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશની વિરુદ્ધમાં તેમણે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેના પર ચૂકાદો આપતા જસ્ટીસ પ્રતિભા રાનીએ આ વાત કહી. વૃદ્ધ દંપત્તિએ દીકરા અને વહુ પર પ્રતાડિત કરવાની વાત કરતા કોર્ટમાં તેમને પોતાના ઘરમાંથી કાઢવાનો આદેશ આપવાની દરખાસ્ત કરી હતી. જેના પર કોર્ટે તેમને ઘર છોડવાનો આદેશ આપ્યો હતો. આની સામે પતિ-પત્નીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ હાઇકોર્ટે પણ વૃદ્ધ માબાપના પક્ષમાં ચૂકાદો સંભળાવ્યો હતો.
જસ્ટીસ પ્રતિભા રાનીએ કેસ સાંભળ્યા બાદ જાણ્યુ કે ઘર વૃદ્ધ મા-બાપે જ ખરીદ્યુ હતુ. તેમાં તેમના દીકરા કે વહુની કોઇ ભાગીદારી હતી નહિ. આ કારણસર તેમણે દીકરાને પિતાનું ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો. જસ્ટીસ રાનીએ સ્પષ્ટ કર્યુ કે પિતાના ખરીદેલા ઘર પર દીકરો અધિકાર જમાવી શકે નહિ.