દિલ્લીમાં હવે LGની જ સરકાર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે GNCTD બિલને આપી મંજૂરી
દિલ્લીમાં એલજી અને મુખ્યમંત્રીના અધિકારો સ્પષ્ટ કરતા બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્લીઃ દિલ્લીમાં હવે ઉપરાજ્યપાલની શક્તિ પહેલાથી વધી ગઈ છે. દિલ્લીમાં એલજી અને મુખ્યમંત્રીના અધિકારો સ્પષ્ટ કરતા બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે આ કાયદો બની ગયો છ. રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગવર્મેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી(સુધારા) બિલ, 2021ને મંજૂરી આપી દીધી. તમને જણાવી દઈએ કે સંસદમાં આ બિલ પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યુ. આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ દિલ્લીની આમ આદમી પાર્ટીની સરકાર ફરીથી વિરોધમાં આવી ગઈ. આપ તેને બંધારણ વિરોધી બિલ ગણાવી રહી છે. વળી, પાર્ટીએ સંકેત આપ્યો છે કે તે આ બિલનો વિરોધ કોર્ટમાં કરશે.
સંસદીય સત્ર દરમિયાન ગયા બુધવારે લોકસભા બાદ રાજ્યસભામાં આ બિલને પાસ કરી દેવામાં આવ્યુ. ભારે હોબાળા વચ્ચે આ બિલને સંસદમાં મંજૂરી મળી ગઈ. આ દરમિયાન દિલ્લીની સત્તાધારી આમ આદમી પાર્ટીએ ભારે વિરોધ અને હોબાળો કર્યો પરંતુ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે આ બિલ કાયદો બની ગયો છે. આ ગવર્મેન્ટ ઑફ કેપિટલ ટેરિટરી (સુધારા) બિલ, 2021 મુજબ હવે દિલ્લી વિધાનસભાના બનાવવામાં આવેલ કોઈ પણ કાયદામાં સરકારનો મતલબ એલજીથી હશે.
આ કાયદા મુજબ હવે દિલ્લીમાં સરકારે ઉપરાજ્યપાલને બધા નિર્ણયો, પ્રસ્તાવો અને એજન્ડાની માહિતી આપવી પડશે. આ કાયદાથી એલજીની શક્તિઓ વધી ગઈ છે. જો કોઈ મુદદે મંત્રીમંડળ અને એલજી વચ્ચે વિવાદ હોય તો તે રાષ્ટ્રપતિને મોકલી શકે છે. આ કાયદા બાદ એલજીને એ શક્તિ મળી ગઈ છે કે જો તે સરકારના કોઈ નિર્ણયથી સંમત ન હોય તો તેને રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે છે.