દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું, 'રાજીનામું આપવાથી નહીં અટકે ગુન્હા'
પત્રકાર પરિષદ દરમિયાન પૂછવામાં આવેલા રાજીનામું આપવાના પ્રશ્ન પર ભડકી ઉઠેલા પોલીસ કમિશનર નીરજ કુમારે કહ્યું કે, શું તમે ભુલ કરો છો તો શું તમારા સંપાદક રાજીનામું આપી દે છે. મારા રાજીનામું આપી દેવાથી શું આ પ્રકારના ગુન્હાઓ થતા અટકી જશે. જો રાજીનામું આપવાથી આ ગુન્હા અટકી જતાં હોય તો હું હજાર વખત રાજીનામું આપવા તૈયાર છું, પણ તેવું થઇ શકે તેમ નથી.
તેમણે વધુમાં કહ્યું કે, બળાત્કાર કેસમાં પકડાયેલા આરોપી પ્રદીપની ઉમર 19 વર્ષીય છે. પ્રદીપને દિલ્હી લાવવામાં આવી રહ્યો છે. ગાંધીનગર પોલીસના અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, એસીપીના નિલંબન પર ગર્વનરની મહોર લગાવવામાં આવી છે.
પોલીસ દ્વારા લાંચના આરોપ પર નીરજ કુમારે કહ્યું છે કે, બાળકીના પિતા લાંચ આપનારા પોલીસ કર્મી અને તેની સાથેના સાદા કપડાંમાં રહેલી વ્યક્તિની ઓળખ હજુ સુધી કરી શક્યાં નથી. બાળકીના પિતા હજુ સુધી આવ્યા નથી, પોલીસ મથકનો તમામ સ્ટાફ પીડિત બાળકીના પિતા પાસે જશે.
તેમણે વધી રહેલા બળાત્કારના કિસ્સા અને મહિલાઓ પરના અત્યાચાર અંગે કહ્યું કે, હાલના સમયમાં મહિલાઓ પર થતાં અત્યાચારમાં વધારો થયો છે. 100 ટકામાંથી 97 ટકા કિસ્સા એવા છે, જેમાં મહિલા સાથે થતાં બળાત્કાર અને હિંસાના ગુન્હામાં તેમના પરિવારના અથવા તો નીકટના લોકો હોય છે. જેમાં પિતા, પતિ, સંબંધીઓ અને પાડોસીઓ હોય છે. જ્યારે ત્રણ ટકા કિસ્સામાં જ બહારના લોકો આવો ગુન્હો કરતા હોય છે. ત્યારે 97 ટકા કિસ્સામાં પોલીસ કઇ કરી શકતી નથી.