કન્હૈયા પર દેશદ્રોહનો આરોપ સાબિત કરવામાં પોલીસ નિષ્ફળ
જવાહર લાલ નેહરૂ વિશ્વવિદ્યાલયના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર વિરુદ્ધના દેશદ્રોહના મામલે લગાવેલા આરોપ સાબિત કરવામાં દિલ્હી પોલીસ નિષ્ફળ રહી છે.
જવાહર લાલ નેહરૂ વિશ્વવિદ્યાલયના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર વિરુદ્ધ લગાવવામાં આવેલા દેશદ્રોહના આરોપો સાબિત કરવામાં દિલ્હી પોલીસ નિષ્ફળ રહી છે. ઉલ્લેખનીય છે કે, જેએનયૂ ના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારની ગત વર્ષે જેએનયૂમાં 9 ફેબ્રુઆરીના રોજ દેશદ્રોહને લગતી કલમો લગાડી ધરપકડ કરવામાં આવી હતી.
ટીઓઆઇની ખબરો અનુસાર પોલીસ તરફથી તૈયાર કરવામાં આવેલી ચાર્જશીટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી ચાર્જશીટમાં સેક્શન 121એ(દેશદ્રોહ) અને અપરાધિક કાવતરાની કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ દિલ્હી પોલીસ કમિશનર પાસે જમા કરાવવામાં આવી છે અને હાલ તેમની મંજૂરીની રાહ જોવાઇ રહી છે.
અહીં વાંચો - ઉમર ખાલિદે કર્યું ગુરમેહરનું સમર્થન, સહેવાગ નિશાના પર
આ ચાર્જશીટમાં જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને અનિર્વીન ભટ્ટાચાર્યને આરોપી બતાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ નું કહેવું છે કે, સંસદ પરના હુમલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરૂ પ્રત્યે સંવેદના રાખવાનું સૂચન કરતાં પોસ્ટર ઉમર ખાલિદ પાસેથી મળી આવ્યા હતા. ચાર્જશીટમાં 40 વીડિયો ક્લિપ્સના ફોરેન્સિક રિપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુરાવાઓ દ્વારા જેએનયૂની એક ઇવેન્ટમાં દેશ વિરોધી નારા લગાવ્યા હોવાની વાત સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આમ છતાં, દિલ્હી પોલીસ દ્વારા હજુ આ મામલે તપાસ ચાલુ રાખવામાં આવી છે. ઉપલબ્ધ માહિતી અનુસાર દિલ્હી પોલીસે હવે આ નિર્ણય કોર્ટ પર છોડ્યો છે, કે કનૈયા વિરુદ્ધ કયા આરોપો લગાવવામાં આવે. ચાર્જશીટમાં એમ પણ કહેવાયું છે કે, કનૈયાએ ભારત વિરોધી નારા નહોતા લગાવ્યા. સાથે જ એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જેએનયૂમાં નારેબાજીના કાર્યક્રમને રોકવા માટે પણ તેમણે કોઇ પગલાં નહોતા લીધા.
અહીં વાંચો - ગુરમેહરનું સમર્થન કરવાના ચક્કરમાં જાવેદ અખ્તર સપડાયા
દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશ્નર દીપેન્દ્ર પાઠકે મીડિયા રિપોર્ટ અંગે કહ્યું કે, હાલ જેએનયૂ દેશદ્રોહ મામલાની તપાસ ચાલી રહી છે. માટે અત્યારે આ મામલે કોઇ નિર્ણય લેવો બરાબર નથી.