દિલ્હીના કાંઝાવાલા અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, 11 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા
રોહિણી જિલ્લાના 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. આમાં બે સબ ઈન્સ્પેક્ટર, ચાર આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ચાર હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. અહીં એક વાત નોંધપાત્ર છે કે, સસ્પેન્ડ કરાયેલા 11 પોલીસકર્મીઓ
નવી દિલ્હી : દિલ્હીના કાંઝાવાલા અકસ્માત કેસમાં દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સામે આવી રહેલી વિગતો અનુસાર દિલ્હી પોલીસના 11 જવાનોને સસ્પેન્ડ કરાયા છે. અહીં તમને જણાવી દઈએ કે ગઈકાલે જ ગૃહમંત્રાલયે દિલ્હી પોલીસને જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા સૂચન કર્યુ હતું. હવે આ આદેશ પર 11 જવાનોને સસ્પેન્ડ કરાયા છે.
નવા વર્ષે બનેલી ખૌફનાક કાંઝાવાલા અકસ્માત કેસમાં એક પછી એક કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે આ સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં 2 સબ ઈન્સ્પેક્ટર, 4 આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, 4 હેડ કોન્સ્ટેબલ અને 1 કોન્સ્ટેબલ છે. આ ઉપરાંત ડીસીપીને કામમાં ઢીલાસ બદલ કારણ બતાવો નોટિસ અપાઈ છે.
દિલ્હી પોલીસ તરફથી મળી રહેલી વિગતો અનુસાર, રોહિણી જિલ્લાના 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. આમાં બે સબ ઈન્સ્પેક્ટર, ચાર આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ચાર હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. અહીં એક વાત નોંધપાત્ર છે કે, સસ્પેન્ડ કરાયેલા 11 પોલીસકર્મીઓમાંથી 6 પીસીઆરમાં તૈનાત હતા. આ સાથે 5 પોલીસકર્મીઓ પિકેટ પર તૈનાત હતા. અગાઉ ગૃહ મંત્રાલય દ્વારા આ કેસમાં પોલીસ કર્મચારીઓને દોષિત ઠેરવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ મુદ્દે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યુ કે, ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને પીસીઆર વાન અને ચેકપોસ્ટના સુપરવાઇઝિંગ અધિકારીઓને તેમની ફરજમાં નિષ્ફળતા માટે કારણ બતાવો નોટિસ આપવા પણ નિર્દેશ આપ્યો છે. સ્પેશિયલ કમિશનર શાલિની સિંહની આગેવાની હેઠળની તપાસ સમિતિ દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરાઈ છે. આ સિવાય તે રાત્રે ફરજ પરના પોલીસકર્મીઓ સામે પણ શિસ્તભંગના પગલાં લેવાશે. ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને આ કેસમાં વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી દોષિતોને સજા મળે.