કેન્દ્રના વાંધા છત્તા કોલેજિયમે જજોની નિયુક્તી માટે ફરીથી નામની ભલામણ કરી
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના પાંચ જજોના નામ પર સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ માટે આ જજોની સોશિયલ મીડિયા પર સરકારની નીતિઓની ટીકાને જવાબદાર ગણાવાઈ હતી.
નવી દિલ્હી : આ દિવસોમાં ભારત સરકાર અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. સરકાર કોલેજિયમમાં સરકારના પ્રતિનિધિને રાખવા ઈચ્છે છે તો સુપ્રીમ કોર્ટ કોલેજિયમ આ મુદ્દે તૈયાર નથી. આ વિવાદ વચ્ચે જજોની નિયુક્તિને લઈને પણ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ સતત સરકાર પણ દબાણ કરી રહ્યું છે. હવે કોલેજિયમે કેન્દ્ર દ્વારા વાંધો ઉઠાવાયેલા 5 જજોના નામ ફરીથી મોકલ્યા છે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક માટે મોકલવામાં આ પાંચ નામોના પ્રસ્તાવ પર કેન્દ્રએ વાંધો ઉઠાવ્યો હતો. હવે આ વાંધાને કોલેજિયમે ફગાવી ફરીથી નામ મોકલ્યા છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ફરી એકવાર ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. હાઈકોર્ટના ચાર જજો સાથે અન્ય 20 નામોની ભલામણ કરાઈ છે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટ માટે એડવોકેટ સૌરભ ક્રિપાલ, મદ્રાસ હાઈકોર્ટ માટે એડવોકેટ અર્જોન સત્યાન, કલકત્તા હાઈકોર્ટ માટે બે એડવોકેટ અમિતેશ બેનર્જી અને શાક્ય સેન અને બોમ્બે હાઈકોર્ટ માટે એડવોકેટ સોમશેખર સુંદરેસનને ફરીથી જજ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. આ એવા નામો છે જેના પર કેન્દ્રએ વાંધો ઉઠાવ્યો હતો અને પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે આ વાંધાને ફગાવીને ફરીથી નામ મોકલ્યા છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના પાંચ જજોના નામ પર સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ માટે આ જજોની સોશિયલ મીડિયા પર સરકારની નીતિઓની ટીકાને જવાબદાર ગણાવાઈ હતી. હવે કોલેજિયમે કહ્યું છે કે, સરકારની નીતિઓની ટીકા એ કોઈ વ્યક્તિને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવા માટે અયોગ્યતા નથી.
કોલેજિયમે ત્રણ હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક માટે 20 નામોની ભલામણ કરી હતી. જેમાં મદ્રાસ હાઈકોર્ટ માટે આઠ લોકોની, અલ્હાબાદ હાઈકોર્ટ માટે નવ અને કર્ણાટક હાઈકોર્ટ માટે ત્રણ લોકોની જજ તરીકે નિમણૂક કરવાની ભલામણ સામેલ છે.