આરએસએસ અને તાલિબાન એક જેવા છે: દિગ્વિજય સિંહ
નવી દિલ્હી, 2 નવેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારો માટે 'સાંત્વના યાત્રા' કરી રહ્યા છે. જેની ઉપર પણ કોંગ્રેસે પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે.
પાર્ટીના મહાસચિવ દિગ્વિજય સિંહે મોદી અને રાષ્ટ્રી સ્વયમ સેવક સંઘ પર નિશાનો સાધતા ટ્વિટ કર્યું છે કે શું નરેન્દ્ર મોદી, સંઘના આદર્શ ગોલવલકર, દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જીને દગો આપી રહ્યા છે. તેઓ સરદાર પટેલને હાઇજેક કર્યા બાદ બની શકે છે કે એવું પણ કહે કે ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ સંઘના હતા અને સંઘના કારણે ભારતને આઝાદી મળી હતી.
તેમણે સંઘની તુલના તાલિબાન સાથે કરતા જણાવ્યું કે 'સંઘ હિન્દુ આતંકવાદને પ્રોત્સાહન આપે છે. હું તાલિબાનના આ હિન્દુ વર્ઝનને ભારતમાં પગ પેસારો કરવા નહીં દઉ.'
આ સમયે ભાજપાની દરેક વિરોધી પાર્ટીઓ મોદી પર નિશાનો તાકી રહી છે. ગઇકાલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું હતું કે મોદી બિહારમાં સદભાવનાનો માહોલ ડહોળવાની કોશિશ કરવા માટે આવી રહ્યા છે. તેઓ બિહારમાં પણ રમખાણ કરાવવા માગે છે. જ્યારે જેડિયૂના એક અન્ય મંત્રીએ જણાવ્યું હતું કે મોદી જ્યાં સુધી બિહારમાં કોમવાદને પ્રોત્સાહિત નહી કરી લે ત્યાં સુધી માનશે નહીં.