સંસદમાં FDI પર થશે ચર્ચાઃ શરદ યાદવ
જેડીયુના મધ્યપ્રદેશ એકમના પ્રદેશ સ્તરના સંમેલનમાં ભાગ લેવા ભોપાલ આવેલા યાદવે પત્રકારોને કહ્યું કે ગુલામીના સમયે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતીય બજાર પર હુમલો કર્યો હતો, તેના કરતા મોટો હુમલો વર્તમાન સરકાર કરી રહી છે. આ સરકાર 'વેસ્ટ ઇન્ડિયા કંપની'ની જેમ કામ કરી રહી છે.
તેમણે કહ્યું કે, રિટેલમાં વિદેશી રોકાણના કારણે દેશમાં 25 કરોડથી વધારે લોકોની રોજગારી પ્રભાવિત થશે. એફડીઆઇથી બજાર નબળું પડશે અને દેશ પણ. રૂપિયાનો ભાવ નબળો થઇ રહ્યો છે, નિયમિતપણે નબળો થઇ રહ્યો છે, ઉદ્યોગોમાં ઉત્પાદન સ્થિર છે, મોંઘવારી આકાશને આંબી રહી છે અને બેકારી તથા બેરોજગારીએ દેશના લોકોની સ્થિતિ કપરી છે. આઝાદી બાદ દેશની આટલી ખરાબ સ્થિતિ ક્યારેય થઇ નથી, જેટલી અત્યારે છે.
એક તરફ ગરીબની કમર તૂટી રહી છે, તો બીજી તરફ ભ્રષ્ટાચાર ચરમ પર છે, કોલસો, કોમનવેલ્થ ગેમ્સ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં મોટા ગોટાળા થયા છે. નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક(સીએજી)ના અહેવાલમાં ગોટાળાનો ખુલાસો થયો છે, પરંતુ કોંગ્રેસ તપાસ કરવાના બદલે આ સંસ્થા પર જ હુમલાઓ કરવા લાગી છે. ચર્ચા તો સંસદમાં થવી જોઇએ, પરંતુ કોંગ્રેસના નેતાઓથી લઇને સરકારના મંત્રી સુધી કેગ વિરુદ્દ નિવેદન કરી રહ્યાં છે, લોકતંત્ર માટે એ ઠીક નથી.
એક પ્રશ્નના જવાબમાં યાદવે કહ્યું કે કેગનો અહેવાલ સંસદમાં રજૂ થશે, ત્યાર બાદ જ સરકારે પોતાનો પક્ષ સદનમાં રાખવો જોઇએ. આ અહેવાલ પર સંસદમાં ચર્ચા થવી જોઇએ, સરકારે પોતાની વાત સદન બહાર નહી, અંદર રાખવી જોઇએ. આ વખતે સંસદ ચાલશે અને આખો વિપક્ષ એકજૂટ રહેશે.