પન્નીસેલ્વમનો બળવો, તમિલનાડુમાં હાઇ-વોલ્ટેજ રાજકારણીય નાટક શરૂ
પન્નીરસેલ્વમના બળવાખોર વલણ પર શશિકલાએ કહ્યું કે, આ બધુ વિપક્ષી પાર્ટી દ્રમુક એ કરાવ્યું છે. તેમણે પન્નીરસેલ્વમને પાર્ટીમાંથી નિષ્કાસિત કરવાની વાત પણ કહી.
તમિલનાડુ ના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ મંગળવારે સાંજે ઓ.પન્નીરસેલ્વમ બળવો કરવાના મૂડમાં આવી ગયા છે, આ સાથે જ તમિલનાડુમાં રાજકારણીય નાટક શરૂ થઇ ગયું છે. એક તરફ પન્નીરસેલ્વમ અન્નાદ્રમુકના અધ્યક્ષ શશિકલા ને નિશાન બનાવી રહ્યાં છે, તો બીજી બાજુ શશિકલાના પક્ષે ઉભેલા નેતા સેલ્વમને દગાબાજ કહી રહ્યાં છે. સાથે વિપક્ષી દળ દ્રમુકે પણ લડાઇમાં ઝંપલાવ્યું છે.
સોમવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પન્નીરસેલ્વમ મંગળવારે સાંજે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતા ની સમાધિ પર પહોંચ્યા હતા. તેઓ મોડે સુધી આંખો બંધ કરી જયલલિતાની સમાધિ પર બેસી રહ્યા અને ત્યાર બાદ તેમણે શશિકલા અને અન્નાદ્રમુકના અન્ય નેતાઓ વિરુદ્ધ નિવેદન આપ્યા. તેમણે પોતાના અપમાનની વાત કરતાં કહ્યું કે તેઓ અમ્માના રસ્તે ચાલનારા માણસ છે. તેમણે પોતે દબાણમાં આવીને રાજીનામું આપ્યું હોવાની વાત પણ કહી અને કહ્યું કે જો જનતા ઇચ્છે તો તેઓ ફરીથી મુખ્યમંત્રી બનવા તૈયાર છે.

મારું સતત અપમાન કરવામાં આવ્યું છે - સેલ્વમ
'જ્યારે અમ્મા હોસ્પિટલમાં હતા ત્યારે હું એમની પાસે ગયો હતો, તેમણે મને મુખ્યમંત્રી પદ સંભાળવાનું કહ્યું હતું. અમ્માના મૃત્યુ બાદ જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મંત્રી આર.બી.ઉદયકુમારે મને કહ્યું કે, સીએમ પદના હકદાર શશિકલા છે આથી મારે રાજીનામું આપવું જોઇએ. મુખ્યમંત્રી બન્યા બાદ મારું સતત અપમાન કરવામાં આવતું હતું. શશિકલાને સીએમ બનાવવા માટે પાર્ટીના નેતાઓ રાજીનામું આપવા મારી પર દબાણ કરતા હતા. જો પાર્ટીના કાર્યકર્તા અને જનતા કહેશે તો હું મારું રાજીનામું પાછું લઇ લઇશ. હું આ બધું એટલે કહી રહ્યો છું, જેથી જનતા સાચી વાત જાણે.'
પન્નીરસેલ્વમના આ નિવેદન બાદ તેમના ઘર પાસે સમર્થકો જમા થઇ ગયા અને તેમના પક્ષમાં નારેબાજી કરતાં સેલ્વમને જ સીએમ બનાવવાની માંગ પણ કરી. પન્નીરસેલ્વમ પોતાના ઘરની બહાર એકઠા થયેલા સમર્થકોને મળ્યા પણ હતા. તો બીજી બાજુ શશિકલાએ પોતાના નિવાસસ્થાને પાર્ટીના નેતાઓ સાથે લાંબી બોઠક યોજી હતી, જે દરમિયાન તેમના ઘરની બહાર પણ લોકો જમા થઇ ગયા હતા.

વિપક્ષી નેતાઓ સાથે હસી-હસીને વાતો કરી રહ્યાં હતા સેલ્વમઃ શશિકલા
શશિકલા નટરાજને પન્નીરસેલ્વમ પર આરોપ મુકતાં કહ્યું કે, વિપક્ષી દળ દ્રમુક પન્નીરસેલ્વમને આવું કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે. સદનમાં પણ સેલ્વમ વિપક્ષી નેતાઓ સાથે હસી-હસીને વાતો કરી રહ્યાં હતા. મેં ક્યારેય કોઇ પણ કામ માટે પન્નીરસેલ્વમ પર દબાણ નથી કર્યું, તેમના આરોપો ખોટા છે. શશિકલાએ પન્નીરસેલ્વમને પાર્ટીના કોષાધ્યક્ષ પદેથી ખસેડી દીધા છે, તેમણે કહ્યું કે, પન્નીરસેલ્વમને પાર્ટીના તમામ પદેથી ખસેડવામાં આવશે અને સાથે જ પાર્ટીમાંથી પણ નિષ્કાસિત કરવામાં આવશે.
મને પાર્ટીમાંથી કોઇ કાઢી નહીં શકે - પન્નીરસેલ્વમ
શશિકલા પર પલટવાર કરતાં પન્નીરસેલ્વમે કહ્યું કે, વિપક્ષી નેતાઓ સાથે હસીને વાત કરવાના મુદ્દાને કોઇ મોટી ભૂલની જેમ રજૂ કરવો અજીબ છે, કારણ કે વિપક્ષના નેતા સાથે વાત કરવામાં કંઇ ખોટું નથી. પાર્ટીમાંથી નિષ્કાસિત કરવાની વાત પર તેમણે કહ્યું કે, તેઓ અન્નામુદ્રક ગુલદસ્તાનું એવું ફુલ છે, જેને અલગ કરી શકાય એમ નથી. તેમણે પોતાના સમર્થકોને કહ્યું કે, જોઇએ છે બુધવારે શું થાય છે.
આ આખા ઘટનાક્રમ પર દ્રમુક નેતા એમ.કે.સ્ટાલિને કહ્યું કે, ઓ.પન્નીરસેલ્વમને શશિકલાએ કામ ન કરવા દીધું અને રાજીનામું આપવા મજબૂર કર્યા, જે દુઃખદ છે. તેમણે રાજ્યપાલને રાજ્યમાં સ્થાયી સરકાર આવે એ માટે યોગ્ય પગલાં લેવાની પણ અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
