સર્વે પર ન જાવ, 300થી વધુ બેઠકો સાથે પૂર્ણ બહુમતી સાથે અમારી સરકાર બનશે- અખિલેશ યાદવ
ઉત્તર પ્રદેશમાં સાતમા અને છેલ્લા તબક્કાના મતદાન બાદ હવે તમામ ટીવી ચેનલોના સર્વે પક્ષોની જીત અને હારને લઈને આવવા લાગ્યા છે.
લખનઉ, 7 માર્ચ : ઉત્તર પ્રદેશમાં સાતમા અને છેલ્લા તબક્કાના મતદાન બાદ હવે તમામ ટીવી ચેનલોના સર્વે પક્ષોની જીત અને હારને લઈને આવવા લાગ્યા છે. મોટાભાગના સર્વેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં બીજેપી સતત બીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. જોકે, સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે આ તમામ સર્વેને સદંતર ફગાવી દીધા હતા. સોમવારે અખિલેશે દાવો કર્યો હતો કે જ્યારે 10 માર્ચે પરિણામ આવશે ત્યારે તેઓ ભાજપને સાફ થતુ જોશે.
ચૂંટણી પહેલા વિવિધ ટીવી ચેનલોની આગાહીઓને ફગાવી દેતા અખિલેશ યાદવે કહ્યું કે, તેઓ જે બતાવવા માંગે છે તે બતાવવા દો. અમે બહુમતીથી જીતી રહ્યા છીએ. જણાવી દઈએ કે સોમવારે સાંજે એક્ઝિટ પોલ આવતા પહેલા અખિલેશ યાદવે એક મીડિયા ચેનલ સાથે વાતચીત દરમિયાન આ વાત કહી હતી. અખિલેશ યાદવે દાવો કર્યો કે આ વખતે અમે 300થી વધુ સીટો જીતવાના છીએ. અમે 300 થી વધુ સીટો સાથે રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. તેમણે પ્રચાર દરમિયાન જુઠ્ઠાણા અને નકલી ડેટા રજૂ કરવા બદલ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે લોકોએ આ વાતનો અહેસાસ કર્યો અને મોંઘવારી, બેરોજગારી અને વિકાસ અને તેમના ભવિષ્યને જોઈને મત આપ્યો.
અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું - સાતમા અને નિર્ણાયક તબક્કામાં બહુમતીથી ખૂબ આગળ એસપી-ગઠબંધનની જીત લેવા માટે તમામ મતદારો અને ખાસ કરીને યુવાનોનો ખૂબ ખૂબ આભાર! અમે સરકાર બનાવી રહ્યા છીએ!
તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન સપા પર પરિવારવાદનો આરોપ લગાવવા પર અખિલેશ યાદવે દાવો કર્યો કે વંશવાદી રાજકારણના મોટાભાગના કિસ્સાઓ શાસક પક્ષમાં જોવા મળે છે. તેમણે કલ્યાણ સિંહ, રાજનાથ સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને વંશવાદી રાજકારણના ઉદાહરણ તરીકે ટાંક્યા. ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે તેમનો દીકરો BCCIમાં છે તેની પાસે શું યોગ્યતા છે? જો તેઓ સત્તામાં આવશે તો તેમની પ્રાથમિકતા શું હશે તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે તેઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે.