સુપ્રીમની ટિપ્પણી : EC વ્યગ્રતામાં નિર્ણયો લે છે
જસ્ટિસ ડી કે જૈનની અધ્યક્ષતાવાળી બેંચે જણાવ્યું કે "છેલ્લા કેટલાક વર્ષમાં ચૂંટણી પંચે ખૂબ સારું કાર્ય કર્યું છે. આપણે તેની સરાહના કરવી જોઇએ. આ માટેનો શ્રેય પણ તેમને આપવો જોઇએ પણ ઘણીવાર ચૂંટણીપંચ વ્યગ્રતામાં નિર્ણયો લેતું હોય છે."
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત હાઇ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અપીલ અંગે સુનવણી કરતા સુપ્રીમ કોર્ટે આમ જણાવ્યું હતું. ગુજરાત હાઇ કોર્ટે પોતાના આદેશમાં ચૂંટણી પંચ દ્વારા 2.5 લાખ રૂપિયાથી વધુના વ્યવહારો પર નજર રાખવાના અને નાણા જપ્તીના આદેશને ગેરબંધારણીય ગણાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેંચે આ મુદ્દે કોઇ નિર્ણય સંભળાવવાને બદલે ચૂકાદો સોમવાર પર મુલતવી રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે પોતાનો નિર્ણય સંભળાવતા ગુજરાત હાઇ કોર્ટે 9 નવેમ્બર, 2012ના રોજ પોતાની નોંધમાં જણાવ્યું કે ઇન્કમ ટેક્સ એક્ટ કે ફોજદારી કાર્યરીતિ સંહિતા સત્તાવાળાઓ અવલોકન અને આવી સખત પ્રક્રિયા કરવાની પરવાનગી નથી આપતી. ચૂંટણી આયોગ CRPC કે ITનું સ્થાન લઇ શકે નહીં. તેથી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી કોઈપણ શોધ અને જપ્તી કાયદા અનુસાર હોવી જોઇએ, ચૂંટણી પંચની મનમાની તરીકે નહીં. હાઇ કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ ની દેખરેખ ટીમોને આપવામાં આવેલી સત્તા કાનૂની અને બંધારણીય સિસ્ટમ માટે "અજાણી" છે.