આર્થિક રીતે નબળા લોકોને પાનકાર્ડ કે પે સ્લિપ વિના લોન મળશે
આ યોજના માટે જરૂરી છે કે તમારી પાસે કોઇ મુડી ન હોવી જોઇએ, અને તમારા ઘરની નજીકમાં કાર્યરત એવું કોઇ સ્વયં સહાયતા કેન્દ્ર તમને ઓળખતું હોય જેથી તે કેન્દ્ર સંબંધીત બેંકમાં તમારી જામીનગીરી આપી શકે. શહેરી વિસ્તારમાં રહેતા મતદાતાઓને ખુશ કરવા માટે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (એનયુએલએમ) ની તૈયારી કરી રહી છે. લગભગ 10 હજાર કરોડ રૂપિયાના આ મિશનને કેન્દ્રીય કેબિનેટ આગામી થોડા દિવસોમાં મંજૂરી આપી શકે છે.
આવાસ અને શહેરી ગરીબી ઉપશમન મંત્રાલયના એક વરીષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ યોજનાથી દેશના વિભીન્ન શહેરોમાં રહેતા આશરે 20 લાખ શહેરી ગરીબોને નાણાકીય લાભ મળશે. શહેરી આજીવિકા મિશન અંતર્ગત વ્યકિતઓની સાથે સ્વયં સહાયતા જૂથને પણ રૂપિયા પાંચ લાખ સુધીની લોન આપવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે કોઇ વ્યકિતને રૂપિયા 20,000 જરૂરિયાત હશે તો તે બેંકને બદલે પોતાના વિસ્તારના સ્વયં સહાયતા સમુહ પાસેથી લોન લઇ શકશે. એટલું જ નહી પરંતુ એક કરતા વધુ સંખ્યામાં પુરૂષો અથવા મહિલાઓ સમુહ બનાવીને બેંક પાસેથી લોન લઇ શકશે. આ યોજનામાં યુવાનોને રોજગાર સંબંધીત તાલીમ આપવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મિશનનો હેતુ એ છે કે શહેરી ગરીબોને વ્યવસાય માટે આર્થિક સહાયતા પુરી પાડવી. જેમની પાસે આવકના કોઇ નિર્ધારિત સાધનો નથી તેમજ લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો પણ નથી. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ઘરવિહોણા લોકો માટે 1600 જેટલા શેલ્ટર પણ બનાવશે. જેથી જે ઘરબાર વગરના લોકો ફૂટપાથો પર રાત વિતાવે છે તેમને રાહત મળે.