EDએ ડીનો મોરિયા અને અહેમદ પટેલના જમાઈની કરોડો રૂપિયાની સંપત્તિ કરી જપ્ત, બેંક કૌભાંડ કેસમાં થઈ કાર્યવાહી
ઈડી નિર્દેશાલયની એક ટીમે શુક્રવારે બૉલિવુડ અભિનેતા ડીનો મોરિયા અને દિવંગત કોંગ્રેસ નેતા અહેમદ પટેલના જમાઈની કરોડો રૂપિયા સંપત્તિને જપ્ત કરી લીધી.
નવી દિલ્લીઃ ઈડી નિર્દેશાલયની એક ટીમે શુક્રવારે બૉલિવુડ અભિનેતા ડીનો મોરિયા અને દિવંગત કોંગ્રેસ નેતા અહેમદ પટેલના જમાઈની કરોડો રૂપિયા સંપત્તિને જપ્ત કરી લીધી. ઈડીએ આ કાર્યવાહી ગુજરાતના વેપારી સાંડેસરા બંધુઓ દ્વારા 14,500 કરોડ રૂપિયાના બેંક લોન છેતરપિંડી સાથે જોડાયેલ એક કેસમાં કરી છે. માહિતી મુજબ મની લૉંડ્રિંગ તપાસમાં ડીનો મોરિયાના આ કેસમાં શામેલ થવા વિશે જાણવા મળ્યુ છે.
ડીનો મોરિયાની 1.4 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત
માહિતી મુજબ નાણાકીય તપાસ એજન્સીએ શુક્રવારે આઠ અચળ સંપત્તિઓ, ત્રણ વાહન અને ઘણા બેંક ખાતા, શેર, મ્યુચ્યુઅલ ફંડ જપ્ત કરી લીધા જેની કુલ કિંમત 8.79 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. ઈડીએ પોતાના એક નિવેદનમાં કહ્યુ છે કે જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિમાં ડીનો મોરિયાની સંપત્તિ 1.4 કરોડ રૂપિયાની છે અને ડીજે અકીલના નામથી લોકપ્રિય અકીલ અબ્દુલ ખલીલ બચૂઅલીની સંપત્તિ 1.98 કરોડ રૂપિયાની છે જ્યારે અહેમદ પટેલના જમાઈ ઈરફાન અહેમદ સિદ્દીકીની સંપત્તિ 2.41 કરોડ રૂપિયાની છે.
શું છે સમગ્ર મામલો
માહિતી મુજબ આ કેસ 14,500 કરોડ રૂપિયાની બેંક લોન છેતરપિંડીનો બતાવવામાં આવી રહ્યો છે. આ કેસમાં આરોપી સ્ટર્લિંગ બાયોટેક અને તેના મુખ્ય પ્રમોટરો અને ડાયરેક્ટરોમાંથી નિતિન જયંતીલાલ સાંડેસરા, ચેતનકુમાર જયંતીલાલ સાંડેસરા અને દીપ્તિ સાંડેસરા ગાયબ છે. આ બધા વર્ષ 2017થી જ ભારતની બહાર છે. તપાસ એજન્સીનુ માનવુ છે કે આ 13,400 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડથી પણ મોટુ કૌભાંડ છે જેમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સી આરોપી છે. સાંડેસરા પરિવારને સીબીઆઈ અને આવકવેરા વિભાગ દ્વારા હાઈ-પ્રોફાઈલ રાજનેતાઓ સાથે કથિત ગઠબંધન, ભ્રષ્ટાચાર અને કરચોરીના આરોપો માટે અલગ-અલગ પૂછપરછનો સામનો કરવો પડી રહ્યો છે.