મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, ખાદ્ય તેલની કિંમતમાં પ્રતિ લિટર આટલા રૂપિયાનો ઘટાડો!
દેશની જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત તમામ ખાદ્યતેલ ઉત્પાદકોને આયાતી ખાદ્ય તેલની MRPમાં 10 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો કરવાની સૂચના આપવામાં આવી છે.
દિલ્હી : દેશની જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત તમામ ખાદ્યતેલ ઉત્પાદકોને આયાતી ખાદ્ય તેલની MRPમાં 10 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો કરવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય તમામ ઉત્પાદકોને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેઓ દેશભરમાં એક બ્રાન્ડના તેલની કિંમત એક સમાન જ રાખે. પેકેટ પર લખેલા જથ્થા કરતાં તેલ ઓછું હોવાની ચર્ચા હતી ત્યારે હવે સરકારે આ ફરિયાદોને પણ દૂર કરવા જણાવ્યું છે.
60 ટકાથી વધુ તેલ આયાત કરાય છે
ભારતમાં ખાદ્યતેલની જરૂરિયાતના 60 ટકાથી વધુ વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં વૈશ્વિક ભાવમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેના કારણે તેલ કંપનીઓએ ભારતમાં પણ ભાવ વધાર્યા હતા. હવે જ્યારે ગ્લોબલ માર્કેટમાં કિંમતોમાં ઘટાડો થયો છે ત્યારે કંપનીઓ MRPમાં ઘટાડો થવાનું નામ નથી લઈ રહી. આ કારણોસર સરકારે ભાવ ઘટાડવાની સૂચના આપવી પડી હતી.
મહત્વની બેઠક બોલાવાઈ હતી
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ તમામ ખાદ્ય તેલ સંગઠનો અને મોટા ઉત્પાદકોની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મહત્વના પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે તેલના ભાવમાં ઘટાડો કરીને જનતાને રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેલ કંપનીઓએ ખાદ્ય સચિવને જણાવ્યું હતું કે ગત મહિનામાં ખાદ્યતેલના ભાવમાં 10-15 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
ખાદ્ય સચિવે શું કહ્યું?
આ બેઠક બાદ સુધાંશુ પાંડેએ વાત કરતા કહ્યું કે અમે ઓઈલ કંપનીઓ સાથે વિગતવાર વાત કરી છે. સાથે જ તેમને જણાવ્યું કે છેલ્લા એક સપ્તાહમાં વૈશ્વિક કિંમતોમાં 10 ટકાનો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને પણ તેનો લાભ મળવો જોઈએ. આ મીટિંગમાં કંપનીઓએ પામ ઓઈલ, સોયાબીન, સનફ્લાવર ઓઈલની એમઆરપીમાં 10 રૂપિયા સુધીનો ઘટાડો કરવાનું પણ વચન આપ્યું છે. ખાદ્ય સચિવના જણાવ્યા અનુસાર, એકવાર આ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરવામાં આવે તો અન્ય રાંધણ તેલના ભાવ આપોઆપ નીચે આવી જશે. આ સિવાય અલગ-અલગ પ્રદેશોમાં તેલના ભાવમાં 3-5 રૂપિયા સુધીનો તફાવત છે, તે પણ સમાન બનાવવા માટે કહેવામાં આવ્યું છે.