40 ધારાસભ્યો સાથે સુરતથી ગુવાહાટી પહોંચ્યા એકનાથ શિંદે, બોલ્યા - બાલાસાહેબની શિવસેના નથી છોડી
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેના નેતા એકનાથ શિંદે પાર્ટી 33 ધારાસભ્યો અને 7 અપક્ષ ધારાસભ્યો સાથે ગુજરાતના સુરતથી રવાના થઈ ચૂક્યા છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેના નેતા એકનાથ શિંદે પાર્ટી 33 ધારાસભ્યો અને 7 અપક્ષ ધારાસભ્યો સાથે ગુજરાતના સુરતથી રવાના થઈ ચૂક્યા છે. તેઓ ત્યાંથી આસામના ગુવાહાટી જઈ રહ્યા છે. આ સાથે જ શિંદેએ કહ્યુ કે મે બાલા સાહેબની શિવસેના નથી છોડી. વાસ્તવમાં એવા અહેવાલો હતા કે એકનાથ શિંદે બાકીના ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે અને મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારને પાડી શકે છે પરંતુ શિંદેએ તેનો ઇનકાર કર્યો હતો. સુરત એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા શિંદેએ કહ્યુ કે અમે બાલાસાહેબ ઠાકરેના હિન્દુત્વને અનુસરી રહ્યા છીએ અને કરતા રહીશુ. અમે બાલાસાહેબ ઠાકરેની શિવસેના છોડી નથી અને છોડીશુ પણ નહિ.
નોંધનીય છે કે મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણીમાં જે રીતે શંકાસ્પદ ક્રોસ વોટિંગ થયુ હતુ અને ભારતીય જનતા પાર્ટીએ 5 બેઠકો જીતી હતી તે પછી મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકાર માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો હતો. એનસીપી અને શિવસેનાએ 2-2 સીટ જીતી હતી જ્યારે કોંગ્રેસ માત્ર એક સીટ જીતી શકી હતી. એમએલસીની ચૂંટણી બાદ શિંદે સુરતની લે મેરીડિયન હોટલ પહોંચ્યા હતા. જ્યાં ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર પાઠક એકનાથ શિંદે અને પાર્ટીના ધારાસભ્યોને મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે શિવસેનાના સાંસદ સંજય રાઉતે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે મહા વિકાસ અઘાડી સરકારને તોડી પાડવાનું ષડયંત્ર છે. તેની સાથે તેમણે એ વાતની પણ પુષ્ટિ કરી કે શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે સંપર્કમાં નથી. શિવસેનાના ધારાસભ્યો સુરતની હોટલમાં છે અને તેમને ત્યાંથી જવા દેવાયા નથી. આ બધા ડ્રામા વચ્ચે એકનાથ શિંદેએ પોતાના ટ્વિટર બાયો પરથી શિવસેના હટાવી દીધી છે. તમને જણાવી દઈએ કે શિવસેનાની રચના બાલાસાહેબ ઠાકરેએ 19 જૂન 1966ના રોજ કરી હતી. તેમણે મહારાષ્ટ્રમાં મરાઠી લોકોના હિતોની રક્ષા માટે પાર્ટીની રચના કરી હતી. બાળ ઠાકરેનું નિધન 17 નવેમ્બર 2012ના રોજ થયુ હતુ.