જબલપુર, 12 મે : આગામી 16 મેના રોજ તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે તેવો દાવો કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કર્યો છે. સિંહે જણાવ્યું છે કે દેશમાં ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીની કોઇ લહેર નથી અને આ ચૂંટણીઓમાં માત્ર મની અને મીડિયાનો દબદબો રહ્યો છે.
દિગ્વિજય સિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મોદીની કોઇ લહેર નથી. મતગણના પહેલા જ મીડિયાએ આ બાબત વધારીને જણાવી છે. વર્ષ 2004 અને 2009માં એક્ઝિટ પોલ જેવી રીતે ખોટા સાબિત થયા હતા તેવી જ રીતે આ વર્ષે પણ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે.
તેમણે ભાજપ પર વ્યક્તિવાદી રાજકારણ રમવાનો આરોપ મુકતા જણાવ્યું કે પહેલા ભાજપ પોતાના સંગઠન પર ગર્વ કરતી હતી. પરંતુ હવે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પાછળ કરીને ભાજપ નરેન્દ્ર મોદીને આગળ કરીને વ્યક્તિવાદી રાજકારણ રમી રહી છે.
પ્રિયંકા ગાંધી અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે પ્રિયંકા ગાંધી કોંગ્રેસના નેતા નથી. આથી તેમણે ચૂંટણી પ્રચારમાં માત્ર પોતાના પરિવારના સભ્યો માટે જ પ્રચાર કર્યો છે. તેમણે ભાજપ અને મોદીને જે જડબાતોડ જવાબ આપ્યો છે તેની સરાહના થવી જોઇએ.