પર્યાવરણ મંત્રીએ દિલ્લીને 'ગેસ ચેમ્બર' ગણાવી તો અરવિંદ કેજરીવાલે સીધુ PM પર સાધ્યુ નિશાન
દિલ્લીમાં પ્રદૂષણનુ સ્તર દિવસેને દિવસે વધી રહ્યુ છે. જેના કારણે દિલ્લીની આમ આદમી પાર્ટીની સરકાર સતત ઘેરાઈ રહી છે.
નવી દિલ્લીઃ દિલ્લીમાં પ્રદૂષણનુ સ્તર દિવસેને દિવસે વધી રહ્યુ છે. જેના કારણે દિલ્લીની આમ આદમી પાર્ટીની સરકાર સતત ઘેરાઈ રહી છે. બુધવારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આપ સરકારને ઘેરતા જણાવ્યુ કે દિલ્લી ગેસ ચેમ્બર બની રહી છે. જો કે, વળતા પ્રહારમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘેરીને તેમને સવાલ કર્યો છે.
તમને જણાવી દઈએ કે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પર હુમલો કરીને કહ્યુ કે, 'સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે કોણ દિલ્લીને ગેસ ચેમ્બર બનાવી રહ્યુ છે. હરિયાણા સરકારે જ્યાં પરાલી બાળવાની ઘટનાઓમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે ત્યાં આપ નેતૃત્વવાળા પંજાબમાં 19 ટકાનો વધારો થયો છે.' તેમણે ટ્વીટમાં લખ્યુ કે આજે પંજાબમાં 3,634 આગ લાગવવામાં આવી છે. દિલ્લીને ગેસ ચેમ્બરમાં કોણે ફેરવી દીધુ તેમાં કોઈ શંકા નથી.
મંત્રીએ વધુમાં આરોપ લગાવ્યો કે જ્યાં આપ છે ત્યાં કૌભાંડ છે. છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકારે પાકના અવશેષોને સંભાળતા મશીનો માટે પંજાબને 1,347 કરોડ રૂપિયા આપ્યા છે. રાજ્યએ 1,20,000 મશીનો ખરીદ્યા. તેમાંથી 11,275 મશીનો ગુમ થયા છે. પૈસાનો ઉપયોગ સ્પષ્ટ બિનકાર્યક્ષમતા દર્શાવે છે. ગયા વર્ષે 212 કરોડ વણખર્ચ્યા હતા. આ વર્ષે કેન્દ્ર સરકારે પાકના અવશેષો વ્યવસ્થાપન મશીનો માટે પંજાબને 280 કરોડ રૂપિયા આપ્યા છે. કુલ મળીને 492 કરોડ મળ્યા હતા પરંતુ કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. આ સિવાય કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર પણ નિશાન સાધ્યુ હતુ.
પર્યાવરણ મંત્રીના આરોપ બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીધા જ પીએમ મોદીને ઘેર્યા અને સવાલો કર્યા. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ, 'પ્રદૂષણ સમગ્ર ઉત્તર ભારતની સમસ્યા છે. યુપી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ. એર ક્વૉલિટી ઈન્ડેક્સ (AQI) લગભગ દરેક જગ્યાએ સમાન છે. શું દિલ્લી-પંજાબે આખા દેશમાં પ્રદૂષણ ફેલાવ્યુ છે? PM આના પર બધા રાજ્યોની બેઠક કેમ બોલાવી રહ્યા નથી?'