રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના વિદાય ભાષણના મુખ્ય અંશો
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શું કહ્યું પોતાના વિદાય સમારંભના ભાષણમાં?
રવિવારના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને સાંસદો તરફથી વિદાય આપવામાં આવી હતી. સંસદના સેન્ટ્રલ હોલમાં આ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રણવ મુખર્જીના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળમાં હવે માત્ર એક-બે દિવસનો સમય બચ્યો છે, નવા રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 25 જુલાઇના રોજ શપથ લેનાર છે. રાષ્ટ્રપતિના આ વિદાય કાર્યક્રમમાં લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સાંસદો અને અન્ય હાજર મહેમાનોનું સંબોધન કર્યું હતું.
તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ યાદગાર રહ્યો. અમે તમારા સ્વપ્નોને પૂર્ણ કરીશું. સુમિત્રા મહાજન બાદ ઉપ-રાષ્ટ્રપતિ હામિક અંસારીએ રાષ્ટ્રપતિના કાર્યકાળની ઉપલબ્ધિઓ જણાવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મોમેન્ટોની સાથે તમામ સાંસદોના હસ્તાક્ષરવાળું પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ભાષણના મુખ્ય અંશો:
- સંસદમાં કામકાજ ચિંતાનો વિષય નથી રહ્યો, કામકાજ સુયોગ્ય રીતે થાય છે
- સંસદમાં મારો 37 વર્ષનો કાર્યકાળ રહ્યો, જે આજે દેશના 13મા રાષ્ટ્રપતિ તરીકે પૂર્ણ થાય છે. આમ છતાં, લાગણીનું જોડાણ યથાવત છે
- જ્યારે પણ સંસદની કાર્યવાહીમાં કોઇ બાધા આવે ત્યારે લાગે છે, જાણે દેશના લોકો સાથે અન્યાય થઇ રહ્યો છે
- મેં અહીં અનેક પરિવર્તનો જોયા છે, હાલમાં જ જીએસટી લાગુ થયું. આ ગરીબોને રાહત આપવાની દિશામાં મોટું પગલું છે
- સંસદમાં પક્ષ અને વિપક્ષમાં બેસીને મને સમજાયું કે, સવાલ પુછવા અને સવાલો સાથે જોડાવું કેટલું મહત્વપૂર્ણ છે
- સંસદમાં મારી કારકિર્દી ઇન્દિરા ગાંધીથી પ્રભાવિત રહી છે
- મેં 22 જુલાઇ, 1969માં પ્રથમ રાજ્યસભા સત્રમાં હાજરી આપી હતી
- મને લોકતંત્રના આ મંદિરે, આ સંસદે તૈયાર કર્યો છે
શું કહ્યું હામિદ અંસારીએ?
- રાષ્ટ્રપતિ પહેલાં તમે વિશ્વના સર્વશ્રેષ્ઠ વિદેશ મંત્રી છો, તમને પદ્મ વિભૂષણનું સન્માન પ્રાપ્ત છે
- જનતાને લગતા મુદ્દાઓ પર હંમેશા તમારી નજર રહી છે, આ જ વાત તમારા પ્રત્યેના સન્માનમાં વધારો કરે છે
- તમે વિવિધતામાં એક્તાને આપણી તાકાત માની, તમે ચિંતક ભારતમાં વિશ્વાસ રાખો છો
સુમિત્રા મહાજનના ભાષણના મુખ્ય અંશો:
- તમને બંધારણનું વિશેષ જ્ઞાન છે. ભવિષ્યના સાંસદ તમારી પાસેથી ઘણું શીખી શકે છે
- તમારો 5 વર્ષનો કાર્યકાળ ગરિમાપૂર્ણ રહ્યો છે
- તમે અનેક પદો પર કામ કર્યું છે, વિદેશોમાં પણ તમને સન્માન પ્રાપ્ત થયું છે
- એક શિક્ષક અને એક પત્રકાર તરીકે તમે ઉચ્ચ માનદંડ સ્થાપિત કર્યા છે
- સંસદીય પરંપરાઓના પાલનમાં પણ તમે મુખ્ય ભૂમિકા ભજવી છે
- તમે દરેક ક્ષેત્રમાં ખૂબ સફળ રહ્યા છો, દેશના રાજકારણમાં તમારું યોગદાન મહત્વપૂર્ણ છે
- તમે ઉચ્ચ આદર્શો અને નૈતિક મૂલ્યોનું ઉદાહરણ પૂરું પાડ્યું
- પશ્ચિમ બંગાળના એક ગામથી તમારી સફર શરૂ થઇ, કોલેજ પ્રોફેસરમાંથી તમે રાજનેતા બન્યા.