Farmers Protest : લખીમપુર ખીરી હિંસાને લઈને દિલ્હી-યુપી-ગાઝીપુર બોર્ડર બંધ!
રવિવારે ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ બાદ જિલ્લા વહીવટીતંત્રે કાયદો અને વ્યવસ્થાને જોતા કલમ 144 લાગુ કરી છે.
નવી દિલ્હી, 04 ઓક્ટોબર : લખીમપુર ખીરી હિંસા બાદ દિલ્હી-યુપી-ગાઝીપુર સરહદ બંધ કરી દેવામાં આવી છે, જ્યારે દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્રાફિકને લગતી નવી એડવાઈઝરી જારી કરી છે, જેમાં સરાય કાલે ખાનથી ગાઝિયાબાદ જતા મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સમયે NH-24 અને NH-9 પર ચુસ્ત સુરક્ષા છે.
તમને જણાવી દઈએ કે, રવિવારે ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ બાદ જિલ્લા વહીવટીતંત્રે કાયદો અને વ્યવસ્થાને જોતા કલમ 144 લાગુ કરી છે, જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ સિંહ બઘેલ અને પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવા લખીમપુર ખીરી જઈ રહ્યા હોવાની માહિતી બાદ બંનેને લખનઉ એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી આપવામાં આવી નથી.
બીજી તરફ લખનૌમાં પણ ભારે હંગામો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવને લખીમપુર જવાથી રોકવામાં આવ્યા બાદ તે ધરણા પર બેઠા છે, તેના સમર્થકો યોગી સરકાર પર આરોપ લગાવી રહ્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, તો બીજી તરફ અખિલેશ યાદવના ઘર બહાર ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનની એક જીપને આગ લગાડવામાં આવી છે. અખિલેશ યાદવનો આરોપ છે કે પોલીસે પોતે તેની કારને આગ લગાવી હતી. હંગામા બાદ એસપી કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે એક નિવેદન બહાર પાડીને વિસ્તારના લોકોને અપીલ કરી છે કે, લોકો પોતાના ઘરમાં રહે અને કોઈના પ્રભાવમાં ન આવે. સરકાર અને પ્રશાસન પર વિશ્વાસ રાખો, દોષિતોને ચોક્કસપણે સજા થશે.
ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના વિરોધ દરમિયાન રવિવારે લખીમપુર ખીરીમાં હિંસા થઈ હતી. ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર કારથી ટક્કર મારી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 ખેડૂતોના મોત થયા છે, જે બાદ હંગામો મચ્યો છે અને રાજકારણ ગરમાયું છે. ઘણા વિપક્ષી નેતાઓને ત્યાં જવાથી રોકવામાં આવ્યા હતા, જેના કારણે ઘણા નેતાઓએ યોગી સરકાર સામે મોરચો ખોલ્યો છે.