હરિયાણામાં નરેન્દ્ર મોદીના 'રણ'માં સામેલ થશે ટીમ અણ્ણાના વીકે સિંહ
નવી દિલ્હી, 9 સપ્ટેમ્બર: ભાજપની ચુંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરના રોજ હરિયાણાના એક સમારોહમાં ભાગ લેવાના છે. સમારોહ પૂર્વ સેનાકર્મીઓ માટે રાખવામાં આવ્યો છે. પરંતુ આ સમારોહની ખાસિયત છે કે તેમાં નરેન્દ્ર મોદીની સાથે-સાથે ટીમ અણ્ણાના સહયોગી અને પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વીકે સિંહ સામેલ થવાના છે.
બંને એક મંચ પર જ હશે. એક મંચ પર ભાજપ અને અણ્ણાના સહયોગીના આવવાથી રાજકીય અટકળો શરૂ થઇ ગઇ છે. પૂર્વ થળસેના અધ્યક્ષ જનરલ વીકે સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના રેવાડીમાં 15 સપ્ટેમ્બરના રોજ યોજાનારા પૂર્વ સેનાકર્મીઓના એક સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે.
ભાજપની હરિયાણા એકમના પાર્ટીના પૂર્વ સેનાકર્મી પ્રકોષ્ઠને મળીને આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં જનરલ વીકે સિંહને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
જો કે રાજકીય બજાર એટલા માટે ગરમ છે કારણ કે અણ્ણા હઝારેના સહયોગી વીકે સિંહે તાજેતરમાં કોઇ રાજકીય પક્ષ સાથે જોડાવવાની આશંકા વ્યક્ત કરી હતી. એવા સમયે નરેન્દ્ર મોદીના મંચ પર જોવા મળતાં અનેક પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે.