અમદાવાદ, 16 મે : શું આજે કંઇ પણ અજુગતુ થયું છે? શું આજે જાહેર થયેલા લોકસભા ચૂંટણી 2014ના પરિણામો ભારતીય જનતા પક્ષ કે તેના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે ચોંકાવનારા છે? કદાચ આનો જવાબ જુદા-જુદા લોકોનો જુદો-જુદો હોઈ શકે, પરંતુ તેના કરતા વધુ ચોંકાવનારી વિગત અમે આપને જઈ રહ્યાં છે કે આજે થયેલી ભાજપની જીત કે કોંગ્રેસની હારનો પાયો તો 16 માસ પહેલા જ નંખાઈ ગયો હતો.
જરા યાદ કરો 20મી ડિસેમ્બર, 2012નો દિવસ. કંઈ યાદ આવે છે? આ કયો દિવસ હતો? આ એક ઐતિહાસિક દિવસ હતો. 20મી ડિસેમ્બર, 2012નો આ દિવસ તે દિવસે તો પોતે પણ નહોતો જાણતો કે તે કેટલો ઐતિહાસિક સાબિત થવાનો છે, પરંતુ રાજકીય ક્ષેત્રે દૂરદૃષ્ટિ ધરાવી જોવામાં આવ્યું હોત, તો જણાઈ જાત કે આ દિવસ કેમ ઐતિહાસિક હતો. આ ઇતિહાસ બનાવનારે તો આજે વિજય મેળવી 20મી ડિસેમ્બર, 2012ના દિવસની ઐતિહાસિકતા સાબિત કરી આપી, પરંતુ હારનારાઓએ જો એ વખતે ચૂક ન કરી હોત, તો આજે આ પરિણામ ન આવ્યો હોત.
ચાલો સ્લાઇડર સાથે આપને બતાવી જ દઇએ કે આજના પરિણામોનો પાયો ક્યારે નંખાયો હતો :
ઐતિહાસિક દિવસ 20મી ડિસેમ્બર, 2012
દેશ માટે 20મી ડિસેમ્બર, 2012નો દિવસ ઐતિહાસિક દિવસ હતો. આ દિવસ હતો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પરિણામનો દિવસ. આ જ દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિજયની હૅટ્રિક નોંધાવી હતી.
હૅટ્રિકે બનાવ્યા વડાપ્રધાન પદને યોગ્ય
કોઈ રાજ્યની ચૂંટણીમાં ત્રીજી વાર જીતનાર મોદી કોઈ એકલા વ્યક્તિ નહોતા, પરંતુ ત્રીજી વખત ચૂંટણી જીતી દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ પસંદગી બનનાર મોદી પહેલા વ્યક્તિ હતા અને તે વાત આજે સાબિત પણ થઈ ગઈ. ગુજરાતમાં ત્રીજી વાર મળેલો વિજય જ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદને યોગ્ય બનાવનાર સાબિત થયો હતો. એટલે જ કહી શકાય કે આજના વિજયનો પાયો 20મી ડિસેમ્બર, 2012ના રોજ નંખાયો હતો.
કોંગ્રેસ-રાહુલની ઐતિહાસિક ચૂક
કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ 2012માં ઐતિહાસિક ચૂક કરી હતી. કોંગ્રેસ પક્ષે જો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં જ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં ત્રીજી વાર ચૂંટાતા રોક્યા હોત, તો આજે તે મોદી કોંગ્રેસની હારનું કારણ ન બની શક્યા હોત. નરેન્દ્ર મોદીને ગુજરાતમાં ન રોકી શકવું રાહુલની મોટી નિષ્ફળતા હતી અને રાહુલની આ જ ભૂલ કોંગ્રેસ માટે ભારે પડી ગઈ.
ઉપાધ્યક્ષ પદનો પણ લાભ નહીં
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 દરમિયાન જ રાહુલ ગાંધીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. એક પક્ષના નેતા ઉપરાંત બીજા નંબરનું પદ હાસલ કર્યા બાદ પણ રાહુલ ગાંધી ગુજરાતની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને માત ન આપી શક્યાં.
ગુજરાત કોંગ્રેસ પણ જવાબદાર
કોંગ્રેસ પક્ષની રાષ્ટ્રીય કક્ષાએ આ હાર માટે ગુજરાત એકમ પણ ઓછુ જવાબદાર નથી. ગુજરાતમાં સ્થાનિક કોંગ્રેસ નરેન્દ્ર મોદી સામે સતત વામણી પુરવાર થતી આવી અને ગુજરાત કોંગ્રેસે હાઈકમાંડને પણ અંધારામાં રાખી. ગુજરાત કોંગ્રેસ મોદીનો સામનો ન કરી શકી અને મોદી ગુજરાતમાં સતત ત્રીજી વાર જીતી ગયાં.
મોદી લક્ષ્ય સાથે જ મેદાનમાં હતાં
બીજી બાજુ નરેન્દ્ર મોદી આજે જે લક્ષ્ય હાસલ કરવામાં સફળ રહ્યાં છે, તે લક્ષ્ય સાથે તેઓ સોળ માસ પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના મેદાનમાં ઉતર્યા હતાં. તેઓ જાણતા હતાં કે આ પડાવ પાર કરતાં જ તેમનો દેશના રાજકારણમાં જવાનો માર્ગ ખુલ્લો થઈ જશે.
સ્ટ્રેટેજી સાથે આગળ વધ્યા મોદી
એટલુ જ નહીં, નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 જીત્યા બાદ પણ એક ખાસ રણનીતિ સાથે જ આગળ વધ્યાં. એવું નથી કે મોદીએ 2012નો જંગ જીતતા જ તેઓ વડાપ્રધાન પદ માટે ભાજપની અંદર સ્વીકાર્ય થઈ ગયા હતાં. નરેન્દ્ર મોદીએ ચોક્કસ રણનીતિ સાથે આગળ વધી પોતાની જાતને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાવી દીધાં અને આજે તેમને સફળતા પણ મળી ગઈ.