સિંગાપોર જતીવેળા પ્લેનમાં માંડ-માંડ બચી ગેંગરેપ પીડિતા!
ડોક્ટર્સે આપેલી માહિતી અનુસાર એર એમ્બ્યુલન્સ જ્યારે 30 હજાર ફૂટની ઉંચાઇ પર હતી ત્યારે યુવતીનું બ્લડ પ્રેશર એટલું નીચે જતું રહ્યું હતું કે ડોક્ટર્સ મુંઝવણમાં મુકાઇ ગયા હતા, જો કે તેમણે પોતાના અનુભવનો ઉપયોગ કરીને એક નિર્ણય લીધો અને જેના કારણે એ યુવતીને બચાવી શકાઇ હતી.
બુધવારની રાત્રે સાડા અગિયાર વાગ્યે ખાસ એર એમ્બ્યુલન્સમાં સામુહિક બળાત્કારની પીડિતાને સિંગાપોર લઇ જવામાં આવી હતી. સફદરગંજના આઇસીયુ સ્પેશિયલિસ્ટ ટોક્ટર પીકે વર્મા અને મેદાંતાના ડોક્ટર યતિન મહેતા પીડિતા સાથે હતા. ડોક્ટર્સે સિંગાપોરની માઉન્ટ એલિજાબેથ હોસ્પિટલ એટલા માટે પસંદ કરી હતી કે ઓછા સમયની યાત્રા બાદ પીડિતાને સારી સારવાર આપી શકાય, પરંતુ સિંગાપોર તરફ વધતું વિમાન 30 હજારની ઉંચાઇ પર પહોંચ્યુ ત્યારે અચાનક યુવતીનું બ્લડ પ્રેશર ખતરાના સ્તર સુધી નીચે ઉતરી ગયું હતું.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે વિમાનમાં સાથે જઇ રહેલા આઇસીયુ સ્પેશિયલિસ્ટ ડોક્ટર પીકે વર્મા અને યતિન વર્માએ પીડિતાનો જીવ બચાવવા માટે એક આર્ટીરિયલ લાઇન તૈયાર કરી એટલે કે પીડિતાની નસમાં પાતળી નળી લગાવી જેથી બ્લડ પ્રેશર પર સતત નજર રાખી શકાય.
દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ટ્રોમા સેન્ટરના ચીફ ડોક્ટર એમસી મિશ્રાએ એક સમાચાર પત્રના હવામાં થયેલા આ હાદસા અંગે જાણકારી આપી છે. મહત્વની વાત એ છે કે ડોક્ટર પીકે વર્મા શરીરમાં લોહીના ઉતાર-ચઢાવ એટલે કે બ્લડ પ્રેશરના સ્પેશિયલિસ્ટ તરીકે જાણીતા છે અને આ કેસને તેઓ પહેલાં દિવસથી જોઇ રહ્યાં છે. મેદાંતાના ડોક્ટર મહેતા પણ અનુભવી છે. માનવામાં આવે છે કે જો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ના લેવાયો હતો તો ભારતને અન્ય સમાચાર સાંભળવા મળ્યા હોત.