ભાજપ શોકગ્રસ્તઃ કેબિનેટ મંત્રી ગોપીનાથ મુંડેનું કાર અકસ્માતમાં નિધન
નવી દિલ્હી, 3 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટમાં ગ્રામીણ વિકાસ મંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની કારનો આજે સવારે ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મુંડેને ઇજાઓ થતાં તેમને સફદરજંગ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સવારે આઠ વાગ્યે ડોક્ટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ભાજપી નેતા અને કેબિનેટ મંત્રી નીતિન ગડકરીએ ગોપીનાથ મુંડેના નિધનની પૃષ્ટિ કરી છે.
ગોપીનાથ મુંડેના પાર્થિવ શરીરને ભાજપ કાર્યાલય લવાયું
ગોપીનાથ મુંડેના પાર્થિવ શરીરને પોસ્ટમોર્ટમ બાદ ભાજપ કાર્યાલય ખાતે લવાયું છે, જ્યાં અંતિમ દર્શનાર્થે તેમના પાર્થિવ શરીરને રાખવામાં આવ્યું છે. આ દુઃખદ ઘડીએ ભારતીય જનતા પાર્ટીના તમામ મોટ ગજના નેતા ઉપસ્થિત છે. રાજનાથ સિંહ, વૈંકયા નાયડૂ, નીતિન ગડકરી, હર્ષવર્ધન, સ્મૃતિ ઇરાની, મુરલી મનોહર જોશી, સુષમા સ્વરાજ સહિતના નેતઓએ શ્રદ્ધાંજલિ અર્પી છે. અટલ બિહારી વાજપાયી તરફથી શ્રદ્ધાંજલિ ફૂલો અર્પિત કરવામાં આવ્યા હતા.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર ગોપીનાથ મુંડે મુંબઇ જવા માટે પોતાના દિલ્હી સ્થિત નિવાસ્થાનથી એરપોર્ટ જઇ રહ્યાં હતા, ત્યારે સવારે છ વાગ્યાની આસપાસ સફદરજંગ હોસ્પિટલ નજીક એક કાર સાથે તેમની કારનો અકસ્માત થયો હતો. જ્યારે તેમની કારનો અકસ્માત થયો ત્યારે તેઓ કોઇપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર નિકળ્યા હતા માત્ર એક જ સુરક્ષા કર્મી અને ડ્રાઇવર હતો. આ અકસ્માતમાં મુંડને મોઢાના ભાગે ઇજા પહોંચી હતી. તેમની સારવાર નજીકમાં આવેલી સફદરજંગ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં કરવામાં આવી રહી હતી. અકસ્માત થવાનું કોઇ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. નોંધનીય છેકે ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને તેઓ મુંબઇ ખાતે પોતાના પરિવાર પાસે જઇ રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
