પેટ્રોપેદાશો અને શરાબને GST હેઠળ આવરી લેવા દરખાસ્ત
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર : કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પેદાશો અને શરાબને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ આવરી લેવાની દરખાસ્ત રજૂ કરી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને સર્ક્યુલેટ કરવામાં આવેલા બંધારણીય સુધારા બિલના સુધારેલા મુસદ્દામાં એવી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે કે આ ચીજવસ્તુઓ બંધારણીય રીતે બાકાત રાખવી ન જોઈએ.
ભાજપના નેતા યશવંત સિંહાના વડપણ હેઠળની સ્થાયી સમિતિએ જણાવ્યું હતું કે જીએસટીનું સર્વગ્રાહીને માળખું સુનિશ્ચિત કરવા માટે બાકાત ચીજવસ્તુઓ ઓછામાં ઓછી હોવી જોઈએ. આ અગાઉ રાજ્યો બંધારણીય સુધારા બિલમાં પેટ્રોલિયમ પેદાશો અને શરાબને જીએસટી હેઠળ આવરી લેવા સંમત થયા હતા.
ઉદ્યોગક્ષેત્રની માગણી હતી કે સપ્લાય ચેઈનમાં ભંગાણ ન પડે તે જોવા માટે કોઈ પણ ચીજ જીએસટીમાંથી બાકાત ન રાખવી જોઈએ. રાજ્યો હવે નવેમ્બરમાં મેઘાલયમાં યોજાનારી આગામી બેઠકમાં બંધારણીય સુધારા બિલ પર આખરી નિર્ણય લેશે એવું રાજ્યના નાણાપ્રધાનોની એમ્પાવર્ડ સમિતિના ચેરમેન અને જમ્મુ-કાશ્મીરના નાણાપ્રધાન અબ્દુલ રહીમ રાથરે જણાવ્યું હતું.
હવે મોટા ભાગનાં રાજ્યોને સમજાઈ ગયું છે કે આ ચીજવસ્તુઓ જીએસટી હેઠળ આવરી લેવાથી તેમને થનારી આવકમાં કોઈ નુકસાન થવાનું નથી. તેઓ જીએસટી ઉપરાંત આ ચીજવસ્તુઓ પર વધારાનો ટેક્સ લાવી શકશે. પેટ્રોલિયમ પેદાશો પર કેન્દ્ર અને રાજ્ય બંનેએ વધારાનો ટેક્સ લાદવો પડશે, જ્યારે આલ્કોહોલ પેદાશો પર કેન્દ્ર અને રાજ્ય બંનેએ વધારાનો ટેક્સ લાદવો પડશે, જ્યારે આલ્કોહોલ પર માત્ર રાજ્યોએ જ ટેક્સ લાદવો પડશે?
જીએસટીનો હેતુ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલસામાનની હેરાફેરી આડે રહેલા અવરોધો દૂર કરીને દેશને એક સામાન્ય બજાર સાથે જોડવાનો છે. વડા પ્રધાન મનમોહનસિંહે કેન્દ્ર ખાતે આગામી સરકાર દ્વારા જીએસટી લાવવામાં આવશે એવો નિર્દેશ પણ આપ્યો છે.