શું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય
બહાર ખાવાપીવા કે જમવાનો જે સામાન ઘરે મંગાવવામાં આવે છે, શું તેના દ્વારા પણ કોરોના વાયરસ ફેલાવાનુ જોખમ છે. આના પર હવે સરકાર તરફથી લોકસભામાં જવાબ આપવામાં આવ્યો છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ દેશમાં સતત વધી રહ્યો છે અને અત્યાર સુધી 53 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સંક્રમણ રોકવા માટે સરકાર લોકોને અપીલ કરી રહી છે કે ભીડવાળી જગ્યાએ જવાનુ ટાળો, સાવર્જનિક સ્થળોએ માસ્ક પહેરીને રાખો અને સમયે સમયે પોતાના હાથ સાબુથી ધોતા રહો. એવામાં અમુક લોકોના મનમાં એ સવાલ પણ ઉઠી રહ્યા છે કે બહાર ખાવાપીવા કે જમવાનો જે સામાન ઘરે મંગાવવામાં આવે છે, શું તેના દ્વારા પણ કોરોના વાયરસ ફેલાવાનુ જોખમ છે. આના પર હવે સરકાર તરફથી લોકસભામાં જવાબ આપવામાં આવ્યો છે.
જમવાના સામાન દ્વારા નથી ફેલાતો કોરોના વાયરસ
વાસ્તવમાં આ બાબતે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) તરફથી વિશેષજ્ઞોની એક કમિટી રચવામાં આવી હતી જેણે શુક્રવારે લોકસભામાં માહિતી આપતા જણાવ્યુ કે હજુ સુધી એવુ કોઈ પ્રમાણ નથી મળ્યુ જેનાથી એ કહી શકાય કે જમવાના સામાન દ્વારા કોરોના વાયરસ ફેલાય છે. કમિટીએ એ પણ જણાવ્યુ કે કોરોના વાયરસ પ્રભાવિત દેશોથી ભારત આયાત કરાતો જમવાનો સામાન પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
કોરોના પ્રભાવિત દેશોમાંથી આવતા ખાદ્ય પદાર્થ સુરક્ષિત
આ અંગે કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં કમિટીના રિપોર્ટનો હવાલો આપીને જણાવ્યુ કે હજુ સુધી ખાદ્ય પદાર્થો દ્વારા કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાના કોઈ પુરાવા નથી મળ્યા. અશ્વિની ચૌબેએ એ પણ જણાવ્યુ કે ચીન અને કોરોના વાયરસથી પ્રભાવિત અન્ય દેશોથી જે ખાદ્ય પદાર્થ આયાત કરવામાં આવી રહ્યા છે તે પણ માનવ ઉપભોગ માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે.
FSSAIએ જારી કરી ઈ-હેન્ડબુક
FSSAI કમિટીએ પોતાના રિપોર્ટમાં વિશ્વ આરોગ્ય સંગઠન તેમજ ખાદ્ય અને કૃષિ સંગઠન જેવા વૈશ્વિક સંગઠનો તરફથી જારી એડવાઈઝરીમાં કોરોના વાયરસના માનવથી માનવ સંક્રમણ ફેલાવાની વાત પર પણ પોતાની સંમતિ દર્શાવી. આ ઉપરાંત ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ તરફથી કોરોના વાયરસ મહામારી દરમિયાન સુરક્ષિત ખાનપાન વિશે લોકો માટે એક ઈ-હેન્ડબુક 'Eat Right during COVID-19' પણ જારી કરવામાં આવી છે.
શું એકલા ડ્રાઈવ કરતી વખતે માસ્ક પહેરવુ જરૂરી છે?
લોકો વચ્ચે એ કન્ફ્યુઝન હતુ કે જો પોતાની ગાડીમાં એકલા સફર કરી રહ્યા હોય તો માસ્ક પહેરવુ અનિવાર્ય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે આના પર સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે તેમના તરફથી આવા કોઈ નિર્દેશ જારી કરવામાં આવ્યા નથી જેમાં કહેવામાં આવ્યુ હોય કે એકલા સફર કરતી વખતે માસ્ક પહેરવુ અનિવાર્ય છે. જો તમે ગ્રુપમાં સવારના સમયે સાઈકલ ચલાવતા હોય કે ગ્રુપમાં ફરવા ગયા હોય તો માસ્ક પહેરવુ ખૂબ જ જરૂરી છે. જો એકલા સાઈકલિંગ કરતા હોય તો માસ્ક પહેરવા અંગે આરોગ્ય મંત્રાલય તરફથી કોઈ ગાઈડલાઈન જારી કરવામાં આવી નથી.
NIAએ અલકાયદાના 9 આતંકીની કરી ધરપકડ