છેલ્લા 8 વર્ષમાં નોકરી માટે 22 કરોડ આવેદન, પરંતુ માત્ર 7.22 લાખને રોજગાર - સંસદમાં સરકારનો જવાબ
સરકારી નોકરીઓ માટે અરજી કરનારા લોકોમાંથી 1 ટકાથી ઓછા લોકોને નોકરી મળી છે. જાણો સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડા.
નવી દિલ્લીઃ સરકારી નોકરી શોધી રહેલા લોકો માટે છેલ્લા 8 વર્ષ ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. સરકારી નોકરીઓ માટે અરજી કરનારા લોકોમાંથી 1 ટકાથી ઓછા લોકોને નોકરી મળી છે. વર્ષ 2014-15થી વર્ષ 2021-22ની વચ્ચે કુલ 22.05 કરોડ લોકોએ સરકારી નોકરીઓ માટે અરજી કરી હતી. આ લોકોએ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે અરજી કરી હતી. આ આંકડા બુધવારે લોકસભામાં સરકાર દ્વારા શેર કરવામાં આવ્યા હતા.
8 વર્ષમાં રોજગાર ઘટ્યો
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં આ આંકડા શેર કર્યા. તેમણે કહ્યુ કે 2019-20માં 1.47 લાખ લોકોને રોજગારી મળી છે. વર્ષ 2019ની વાત કરીએ તો એ જ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. તે જ વર્ષે કોરોના મહામારીની શરૂઆત થઈ હતી. ડેટામાં ખુલાસો થયો છે કે છેલ્લા 8 વર્ષમાં કુલ 220599238 લોકોએ નોકરી માટે અરજી કરી હતી જેમાંથી 722311 લોકોની પસંદગી કરવામાં આવી હતી. જે કુલ અરજીની સરખામણીમાં માત્ર 0.33 ટકા છે.
આ વર્ષે 10 લાખ ભરતીનુ એલાન
તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા આ વર્ષે 10 લાખ લોકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી મિશન મોડ પર કરવામાં આવશે. ખુદ વડાપ્રધાન કાર્યાલયે વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં ખાલી જગ્યાઓ પર ચર્ચા કર્યા બાદ આ સૂચના આપી છે. સંસદમાં શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, કુલ 22.05 કરોડ અરજીઓમાંથી સૌથી વધુ 5.09 કરોડ અરજીઓ 2018-19માં આવી હતી, જ્યારે સૌથી ઓછી 1.80 કરોડ લોકોએ 2020-21માં અરજી કરી હતી.
1 ટકાથી ઓછા લોકોને મળી નોકરી
ડેટાનુ વિશ્લેષણ કરતા સામે આવ્યુ છે કે દર વર્ષે સરેરાશ 2.75 કરોડ લોકો અરજી કરે છે. જ્યારે દર વર્ષે સરેરાશ માત્ર 90288 લોકોને રોજગાર મળે છે. છેલ્લા 8 વર્ષમાં મળેલી કુલ અરજીઓમાંથી માત્ર .07 ટકાથી 0.80 ટકા લોકોની પસંદગી થાય છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર દ્વારા મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, સ્માર્ટ સિટી મિશન, અટલ મિશન, પીએમઈજીપી, મનરેગા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના, દીન દયાલ અંત્યોદય યોજના સહિત રોજગાર માટે ઘણા અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે.