રાહ જુઓ, અયોધ્યામાં જ બનશે રામ મંદિર: સંઘ
સંઘના સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે આજે પત્રકારોના એક સવાલના જવાબમાં જણાવ્યું કે રામ મંદિરનો મુદ્દો તો પહેલાથી મેનિફેસ્ટોમાં છે. રામ મંદિર તો દેશના એજન્ડામાં છે- રાષ્ટ્રહિતમાં છે. તેમણે જણાવ્યું કે અમે રામ મંદિર નિર્માણ માટે ધર્માચાર્યો અને વિહિપના આંદોલનને સમર્થન કરી રહ્યા છીએ.
હોસબાલે સંઘની આજે શરૂ થયેલી ત્રણ દિવસીય અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક અંગે જાણકારી આપતા પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. આતંકી સંગઠનો અલકાયદા અને આઇએસઆઇએસના પડકારો અંગે પૂછાતા તેમણે વધારે વિસ્તારમાં નહીં જતા જણાવ્યું બેઠકમાં દેશની સુરક્ષાના સંદર્ભમાં પણ ચર્ચા થશે.
તેમણે જણાવ્યું કે કાર્યકારી મંડળની આ બેઠકમાં હાજરી આપવા માટે સંઘ પદાધિકારીઓ અને સ્વયંસેવકો ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ અત્રે આવી પહોંચ્યા છે. જે વિશેષ નિમંત્રણ પર આજે બેઠકમાં હાજર રહેશે.