ગુજરાત રમખાણ માટે મોદીને દોષી ગણવા અયોગ્ય: રાજનાથ
નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર : બીજેપી પ્રમુખ રાજનાથ સિંહે ગુજરાતમાં 2002ના રમખાણને 'દુર્ભાગ્યપૂર્ણ' ગણાવી જણાવ્યું કે એ રમખાણો માટે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દોષી માનવા યોગ્ય નથી.
તેમણે કોંગ્રેસ અને કેટલાક અન્ય દળો પર દેશને ધાર્મિક આધાર પર વહેંચવાનો આરોપ લગાવ્યો. રાજનાથે રવિવારે જણાવ્યું કે 'ગુજરાત પણ આપણા રાજ્યોમાંથી એક છે. હું માનું છું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આ વાતથી કોણ સહમત નહીં થાય? પરંતુ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જાણે રમખાણોની યોજના તેમણે જ બનાવી હોય.'
તેમણે જણાવ્યું કે રાજ્યના મુસ્લિમોને પૂછવું જોઇએ કે શું તેઓ બીજેપીના શાસનમાં ભેદભાવનો અનુભવ કરે છે. તેમણે કોંગ્રેસ દ્વારા બ્રિટિશ શાસનની 'ડિવાઇડ એન્ડ રૂલ'ની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો અને તેની નિંદા કરી.
બીજેપી પ્રમુખે જણાવ્યું કે 'કોંગ્રેસે ભલે બ્રિટેનની કોઇ અન્ય નીતિ અપનાવી હોય કે નહીં, પરંતુ તેમની પાર્ટીએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી લીધી છે. કોંગ્રેસ અને કેટલાં અન્ય રાજનૈતિક દળોએ જ દેશમાં ભાગલાના અંકુર વાવ્યા હતાં.'