નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા આતુર હબીબુલ્લા
નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર : રાષ્ટ્રીય લઘુમતી પંચના અધ્યક્ષ વઝાહત હબીબુલ્લા પોતાના પાછલા પ્રયત્નોમાં નિષ્ફળ ગયા બાદ એકવાર ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાનો પ્રયત્નમાં છે. તેઓ મોદીની સાથે 2002ના ગુજરાત રમખાણોના પૂનર્વસન, લઘુમતી બાળકોને છાત્રવૃત્તિ, પારસી અને શીખ સમુદાય સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાતચીત કરવા માગે છે. ગયા વર્ષે હબીબુલ્લાએ ઓછામાં ઓછા બે વખત પ્રયાસો કર્યા હતા પરંતુ મોદી કોઇ કારણોસર તેમને મળી શક્યા ન્હોતા, પરંતુ હબીબુલ્લાએ જણાવ્યું કે તેઓ આ વખતે નરેન્દ્ર મોદીને મળવા નવેસરથી પ્રયત્ન કરશે.
હબીબુલ્લાએ વાતચીતમાં જણાવ્યું કે 'અમે પહેલા પણ તેમને મળવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ કોઇ કારણોસર તેમને મળી શક્યા ન્હોતા. હવે હું તેમને મળવા માટે ફરીથી પ્રયત્નો કરીશું. આશા છે કે તેમની સાથે ટૂંક સમયમાં મુલાકાત થશે.' હબીબુલ્લાએ જણાવ્યું કે 'ઘણા મુદ્દાઓ છે જેને ગુજરાતના મુખ્યમંત્રીની સામે ઉઠાવવાના છે. જેમાં 2002ના રમખાણ પીડિતોના પુનર્વસન અને તેની સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ તથા લઘુમતી છાત્રવૃત્તિનો ગુજરાત સરકાર દ્વારા વિરોધ કરવાનો મુદ્દો મહત્વનો છે.'
હબીબુલ્લાએ જણાવ્યું કે 'ગુજરાતમાં પારસી સમુદાયના લોકોને લઘુમતી વર્ગમાં સમાવવાનો મુદ્દો પણ મહત્વનો છે. અમે શીખ ખેડૂતોના મુદ્દાને પણ રાજ્ય સરકાર સમક્ષ ઉઠાવવા માંગીએ છીએ.' તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલ આશ્વાસન અંગે કંઇપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો, જેમાં રાજ્ય સરકારે જણાવ્યું કે તેઓ એ મસ્જિદનો જીર્ણોદ્ધાર કરવાની યોજના સાથે સામે આવશે જેને 2002ના રમખાણો વખતે નુકસાન પહોંચ્યું હતું.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ આવનાર મસ્જિદોને નમાઝ માટે ખોલવાને લઇને પોતાના તરફથી લખેલા પત્ર અંગે હબીબુલ્લાએ જણાવ્યું કે 'અમે આ મુદ્દો સંસ્કૃતિ મંત્રાલય અને એએસઆઇની સામે ઉઠાવ્યો છે. એએસઆઇને સર્વેક્ષણ કરવું હતું. હજી તેમનો સર્વેક્ષણ રિપોર્ટ આવ્યો નથી.'