સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હાથરસ કેસ, ટ્રાયલ યુપીના બદલે દિલ્લીમાં કરાવવાની માંગ
હાથરસમાં દલિત કિશોરી સાથે થયેલી હેવાનિયતનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે.
નવી દિલ્લીઃ હાથરસમાં દલિત કિશોરી સાથે થયેલી હેવાનિયતનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. આ અંગે એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. સાથે જ કેસની ટ્રાયલને ઉત્તર પ્રદેશથી દિલ્લી ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી રહી છે. મંગળવારે ચીફ જસ્ટીસ એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠ આ કેસમાં સુનાવણી કરશે.

યુપીમાં આ કેસની તપાસ નિષ્પક્ષ થવી મુશ્કેલ
જનહિત અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તર પ્રદેશમાં દલિત કિશોરીની બેરહેમીથી હત્યા થઈ છે માટે ત્યાં આ કેસની તપાસ નિષ્પક્ષ થવી મુશ્કેલ છે. જેના કારણે તેની ટ્રાયલ દિલ્લી ટ્રાન્સફર કરી દેવામાં આવે. સાથે જ કેસની તપાસ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના રિટાયર જજની દેખરેખમાં સીબીઆઈ કે એસઆઈટી કરે. જો કે યુપી સરકારે પહેલા જ આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. હવે મંગળવારે એટલે કે આજે સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટ આ કેસમાં કોઈ નિર્ણય લેશે.

એપી સિંહ લડશે આરોપીઓનો કેસ
હાથરસ ગેંગરેપ કેસના આરોપીઓના બચાવ માટે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ વકીલ એપી સિંહને નિયુક્ત કર્યા છે. અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજા માનવેન્દ્ર સિંહે એપી સિંહને હાથરસ કેસમાં આરોપીઓનો કેસ લડવા માટે કહ્યુ છે. સંસ્થાએ એપી સિંહની ફી માટે ફંડ પણ ભેગુ કરી લીધુ છે. મહાસભાનો આરોપ છે કે પીડિત પરિવાર તરફથી બળજબરી એ યુવકોને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. એપી સિંહ નિર્ભયાના દોષિતોનો કેસ લડીને ચર્ચામાં આવ્યા હતા.

પ્રશાસન પર કેમ ઉઠી રહ્યા છે સવાલ?
પીડિત કિશોરીના પરિવારજનોના જણાવ્યા મુજબ તેમની દીકરી સાથે 14 સપ્ટેમ્બરે ચાર લોકોએ ગેંગરેપ કર્યો. ત્યારબાદ તેને બેરહેમીથી મારવામાં આવી. ગયા મંગળવારે દિલ્લીમાં ઈલાજ દરમિયાન તેનુ મોત થઈ ગયુ. ત્યારબાદ પરિવારજનોની મંજૂરી વિના કિશોરીના અંતિમ સંસ્કાર રાતે 3 વાગે કરી દેવામાં આવ્યા. આ તરફ યુપી પોલિસના રિપોર્ટમાં ગેંગરેપની પણ સંપૂર્ણપણે પુષ્ટિ થઈ નથી. આ કારણે રાજકીય પાર્ટીઓ અને પરિવારજનો યુપી સરકાર અને પોલિસ પ્રશાસન પર સવાલ ઉઠાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
