તાજમહેલ મુદ્દે અરજી દાખલ કરનાર બીજેપી નેતાને હાઈકોર્ટની ફટકાર, ઈતિહાસ વાંચી આવવા કહ્યું!
ઉત્તર પ્રદેશના આગ્રામાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલના 22 રૂમ ખોલવા માટે અરજી દાખલ કરનાર બીજેપી નેતા રજનીશ સિંહને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ઠપકો આપ્યો છે.
લખનૌ, 12 મે : ઉત્તર પ્રદેશના આગ્રામાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલના 22 રૂમ ખોલવા માટે અરજી દાખલ કરનાર બીજેપી નેતા રજનીશ સિંહને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ઠપકો આપ્યો છે. હાઈકોર્ટે અરજદારને ઠપકો આપતા કહ્યું કે તમે જઈને ઈતિહાસ વાંચો, સંશોધન કરો અને પછી કોર્ટમાં આવો. આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને સુભાષ વિદ્યાર્થીની બેન્ચે કહ્યું કે તમે આવતીકાલથી જજની ચેમ્બરમાં આવવાની માંગ કરવા લાગશો, તેનો અર્થ શું છે.
હાઈકોર્ટે અજાયબીઓમાં સામેલ તાજમહેલ પર અરજી દાખલ કરનાર ડૉ.રજનીશ સિંહને ઠપકો આપતા કહ્યું કે, પીઆઈએલની મજાક ન સમજો, આ રીતે તેનો દુરુપયોગ યોગ્ય નથી. પહેલા વાંચો, તાજમહેલ ક્યારે અને કોણે બંધાવ્યો. યુનિવર્સિટીમાં જાઓ, Ph.D કે M Phil કરો પછી કોર્ટમાં આવો. જો કોઈ સંસ્થા તમને સંશોધન કરતા રોકે તો અમારી પાસે આવો પણ આ બધું ન કરો. તમારા હિસાબે ઈતિહાસ ભણાવવામાં આવશે નહીં. કાલે તમે કહેશો કે જજની ચેમ્બરમાં શું છે, આપણે અંદર જઈને જોવું પડશે.
અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે તાજમહેલના ઉપરના અને નીચેના ભાગોમાં લગભગ 20 બંધ ઓરડાઓ ખોલવામાં આવે અને પુરાતત્વ વિભાગને તે બંધ ઓરડાઓમાં શિલ્પો અને શિલાલેખો શોધવાનો આદેશ આપવામાં આવે. આ અરજી અયોધ્યાના રહેવાસી ડૉક્ટર રજનીશ સિંહે દાખલ કરી છે. રજનીશ ભાજપની અયોધ્યા જિલ્લા સમિતિના સભ્ય અને મીડિયા સંયોજક છે.
રજનીશ સિંહનું કહેવું છે કે 2019માં તેમણે પુરાતત્વ વિભાગ પાસેથી તાજમહેલના રૂમ અંગે માહિતી પણ માંગી હતી, જેના જવાબમાં તેમને આ રૂમો બંધ રાખવાનું કારણ સુરક્ષા જણાવવામાં આવ્યું હતું. તેઓ કહે છે કે પુરાતત્વ વિભાગે સંતોષકારક માહિતી આપી ન હતી, તેથી તેઓએ આ અરજી દાખલ કરી હતી.