રાહુલ ગાંધીઃ માલિયાને 1200 કરોડનો લાડુ, ગરીબોને 3 રૂ.નો લાડુ
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નોટબંધી બાદ હવે કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી પર પ્રહારો કરી રહ્યાં છે. શનિવારે હિમાચલ પ્રદેશમાં રાહુલે ભાજપના દિલ્હી ખાતેના લડ્ડુ પ્લાનની મજાક ઉડાવી.
કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના અમેઠીના સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળાની એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, નોટબંધી ગરીબો, ખેડૂત, મિડલ ક્લાસની વિરુદ્ધ છે. નોટબંધીના કારણે ખેતી, હૉર્ટિકલ્ચર અને પર્યટનને મોટી ખોટ ગઇ છે. મધ્યપ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢની ભાજપ સરકારો પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે, આમણે આદિવાસિઓની જમીન છીનવી લીધી છે.
રાહુલે આગળ કહ્યું કે, મોદીજી તમે ભારતના બે ભાગલા પાડી દીધાં છે. એક ભાગમાં 1% અમીરો વસે છે અને બીજો 99% ભાગ મિડલ ક્લાસ અને ગરીબ જનતાનો છે. નોટનો કોઇ રંગ નથી હોતો. એક બાજુ પ્રમાણિક લોકો છે અને બીજી બાજુ અપ્રાણિક લોકો. નોટો જો અપ્રમાણિક લોકોના હાથમાં ગઇ તો જાદુથી કાળી થઇ જશે.
તેમણે એમ પણ કહ્યું કે, આપણો દેશ 50 કંપનીના પાંજરામાં પુરાયેલો છે. આ એ જ લોકો છે જે પીએમ સાથે અમેરિકા જાય છે. 1% અમીરોના હાથમાં દેશની 60% સંપત્તિ છે. આ એ જ 50 પરિવારો છે અને એમના હાથમાં દેશની 60% સંપત્તિ છે. ભારતમાં માત્ર 6% કાળું નાણું કેશમાં છે, બાકીનું 94% કાળું નાણું રિયલ એસ્ટેટ, ગોલ્ડ અને વિદેશની બેંકોમાં છે. હું મોદીજીને પૂછવા માંગુ છું કે, તમે સ્વિસ બેંકે આપેલું લિસ્ટ સંસદમાં કેમ ન મુક્યું? દિલ્હીમાં ગરીબો લાઇનમાં ઊભા છે, ભાજપે એમને 3 રૂ.ના લાડુ ખવડાવ્યા અને વિજય માલિયાને 1200 કરોડનો લાડુ ખવડાવ્યો. નોટબંધી ભારતની ઇકોનોમી પર ફાયર બોંમ્બિગ છે.