ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી, 2 બાળકો સહિત 7 ના મોત
સતત વરસાદને કારણે એક મકાન તૂટી પડ્યું હતું. અકસ્માતની માહિતી મળ્યા બાદ રાહત અને બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કાટમાળ હટાવીને લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
બેંગલુરુ : કર્ણાટકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગત રાત્રે કર્ણાટકના બેલાગવી વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું હતું, જેમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃત્યુ પામેલા સાત લોકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
અકસ્માતની માહિતી મળ્યા બાદ રાહત અને બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી
ANI ના અહેવાલ મુજબ, આ ઘટના બેલાગવીના બારાલા અંકલગી ગામમાં બુધવારની રાત્રે 9 કલાકે બની હતી, જ્યારે સતત વરસાદને કારણે એક મકાન તૂટી પડ્યું હતું. અકસ્માતની માહિતી મળ્યા બાદ રાહત અને બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કાટમાળ હટાવીને લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આવા સમયે ઘટના વિશે માહિતી આપતા સમયે હિરેબેગવાડી પોલીસ સ્ટેશનના ડેપ્યુટી કમિશનર એમજી હિરેમથે જણાવ્યું હતું કે, આ ઘર જૂનું હતું અને સતત વરસાદના કારણે એક દિવાલ તૂટી જવાને કારણે આ મકાન તૂટી પડ્યું છે. પોલીસે તમામ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા
વહીવટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકો હોસ્પિટલ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. આ મામલે મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇએ જિલ્લા પ્રભારી મંત્રી ગોવિંદ કરજોલને સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો અને ડેપ્યુટી કમિશનરને રાહત અને બચાવ માટે તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.