હૈદરાબાદ રેપ કેસ: ચારમાંથી એક આરોપીએ જેલ પ્રશાસન પાસે કરી આ માંગ
તેલંગાણાના હૈદરાબાદમાં 26 વર્ષીય મહિલા ડોક્ટરની ગેંગરેપ બાદ નિર્દય હત્યાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. તેલંગાણાની સાથે સમગ્ર દેશમાં પણ ગુસ્સો છે.
તેલંગાણાના હૈદરાબાદમાં 26 વર્ષીય મહિલા ડોક્ટરની ગેંગરેપ બાદ નિર્દય હત્યાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. તેલંગાણાની સાથે સમગ્ર દેશમાં પણ ગુસ્સો છે. આ ઘૃણાસ્પદ ગુના સામે અવારનવાર વિરોધ થઈ રહ્યા છે અને લોકો આરોપીઓને તાત્કાલિક ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. આ કેસમાં ચારે આરોપીઓને ચેરલાપલ્લી સેન્ટ્રલ જેલમાં કડક સુરક્ષા સેલમાં રાખવામાં આવ્યા છે. આ 4 આરોપી પૈકીના એક ચેન્નાકેશાવુલુએ જેલ પ્રશાસન પાસે માંગ કરી છે.
એક આરોપીએ ડાયાલિસિસની કરી માંગ
સામુહિક બળાત્કારના આરોપી ચિંતાકુંતા ચેન્નકેશાવુલુએ કિડનીની બિમારીની સારવાર માંગી છે. તે અન્ય આરોપીઓ સાથે ચેરાપલ્લી સેન્ટ્રલ જેલમાં બંધ છે. મેડિકલ ચેકઅપ દરમિયાન તેણે જેલ અધિકારીઓને જણાવ્યું હતું કે, તે હૈદરાબાદના નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં નિયમિત ડાયાલીસીસ કરાવતો હતો. તેણે માંગણી કરી છે કે તેનું ડાયાલિસિસ કરવામાં આવે.
જેલ અધિકારીઓએ માંગ્યો મેડિકલ રીપોર્ટ
જેલ અધિકારીએ જણાવ્યું કે તેનો મેડિકલ રિપોર્ટ માંગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે કુટુંબનો કોઈ પણ સભ્ય ચાર આરોપીઓમાંથી કોઈને મળવા આવ્યો ન હતો. જેલના માર્ગદર્શિકા મુજબ, અંડરટ્રાયલ કેદીઓને તેમના પરિવારના સભ્યોને મળી શકે છે પરંતુ જેલમાં તેમને મળવા માટે કોઈ આવ્યું ન હતું. ગેંગરેપ બાદ મહિલા ડોક્ટરની નિર્દય હત્યાને લઇને હૈદરાબાદ અને દેશના અન્ય ભાગોમાં પણ દેખાવો યોજવામાં આવી રહ્યા છે.
વકીલોએ કેસ નહીં લડવાની કરી જાહેરાત
રંગરેડ્ડી જિલ્લાના વકીલોએ ઘોષણા કરી દીધું છે કે આ ચારેય આરોપીઓનો કેસ કોઈ લડશે નહીં. આ કેસમાં જેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે અન્ય કેદીઓની જેમ તેઓ પણ કાનૂની મદદ લઈ શકે છે. તેમની ભલામણ ડીએલએસએ એડવોકેટને સુપરત કરવામાં આવશે અને તેઓ તેને જેલમાં મળશે. જેલમાં ચારેયની સલામતી સુનિશ્ચિત કરવા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
જેલના મેન્યુઅલ મુજબ અપાય છે ખોરાક
આ આરોપીઓને જેલના મેન્યુઅલ પ્રમાણે જ ખોરાક આપવામાં આવી રહ્યો છે. ચારેય આરોપીઓને રવિવારે બપોરના ભોજનમાં ભાત-દાળ અને રાત્રિ ભોજનમાં મટન કરી પીરસવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે ગેંગ રેપ અને હત્યાની ઘટનાના 48 કલાકમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જો કે, પીડિત પરિવારના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા શરૂઆતમાં તેમની ફરિયાદ નોંધાઈ ન હતી, જેના માટે પરિવારના સભ્યોએ ઘણા કલાકો સુધી રાહ જોવી પડી હતી.