પાર્ટી કહેશે તો મોદીની સામે ચૂંટણી લડીશ: દિગ્વિજય સિંહ
નવી દિલ્હી, 24 માર્ચ: કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે વારાણસીથી ચૂંટણી લડવાની સંભાવના પર જણાવ્યું છે કે જો પાર્ટી ઇચ્છશે તો હું નરેન્દ્ર મોદીની વિરુધ્ધ ચૂંટણી લડીશ. દિગ્વિજયના જણાવ્યા અનુસાર અમે મોદીના વિકાસ મોડેલના દાવાને સાચા પરિપ્રેક્ષ્યમાં રાખ્યા છે. તેમણે મોદીની લોકપ્રિયતાનો શ્રેય મીડિયાને આપ્યો અને જણાવ્યું કે તેઓ એટલા મોટા નેતા નથી કે જેટલા આપે તેમને બનાવી દીધા છે.
જ્યારે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાએ જાહેરાત કરી દીધી છે કે અરવિંદ કેજરીવાલ વારાણસીથી ચૂંટણી લડશે અને જીતશે પણ. અત્રે ઉલ્લેખનીય છે કે કેજરીવાલ વારાણસીમાં રેલી કરવાના છે, જેમાં તેઓ ચૂંટણી લડવા માટે જનતાના મત જાણશે પરંતુ સિસોદીયાના નિવેદન બાદ કેજરીવાલનું વારાણસીથી ચૂંટણી લડવું પાક્કુ માનવામાં આવી રહ્યું છે.
આ ધ્યાન આપવા યોગ્ય બાબત છે કે કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી શીલા દીક્ષિતની સામે લડી હતી. અને મુખ્યમંત્રી તરીકે 49 દિવસો સુધી પોતાની સેવા આપ્યા બાદ તેમણે 14 ફેબ્રુઆરીના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું ત્યારબાદથી જ તેઓ લોકસભા ચૂંટણી લડે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે એ સમાચારોનું તેમણે ઘણી વખત ખંડન કર્યું પરંતુ હવે તેઓ લોકસભાની ચૂંટણી લડે તેવું પાક્કુ માનવામાં આવી રહ્યું છે.