પ્રદ્યુમ્ન મર્ડર કેસ:કંડક્ટરને ફસાવનાર હરિયાણા પોલીસની મુશ્કેલી વધશે
પ્રદ્યુમ્ન કેસમાં સીબીઆઈ તપાસ બાદ નવો વળાંક આવ્યો છે. આ તપાસ બાદ હરિયાણા પોલીસની મુસીબત વધે તેવી શક્યતા પણ છે. આ અંગે વધુ વાંચો અહીં.
પ્રદ્યુમ્નની હત્યાના કેસમાં સીબીઆઇ તપાસ બાદ નવો વળાંક આવ્યો છે અને આ સાથે હરિયાણા પોલીસની મુસીબતો વધવાની શક્યતા છે. પ્રદ્યુમ્નની હત્યાના મામલે પોલીસ દ્વારા સૌ પ્રથમ બસ કંડક્ટરની ધરપકડ કરવામાં આવી હતી, હવે તેને ટૂંક સમયમાં જ રાહત મળી શકે છે. આ બસ કંડક્ટર અશોકની મુક્તિ માટે વકીલ મોહિત વર્મા દ્વારા શનિવારે અરજી કરવામાં આવશે. ત્યાર બાદ અશોકનો પરિવાર પોલીસ વિરુદ્ધ કોર્ટનો દરવાજો ખખડાવે એવી શક્યતા છે. આ મામલે હરિયાણા પોલીસ વિરુદ્ધ માનહાનિનો કેસ થઇ શકે છે. પ્રદ્યુમ્નની હત્યાના બીજા દિવસે જ ગુરુગ્રામ પોલીસે કંડક્ટર અશોકની ધરપકડ કરી હતી. કેસને બને એટલી જલ્દી ઉકેલવાની ઉતાવળમાં પોલીસે બસ કંડક્ટરને જ આરોપી બનાવી દીધો હતો.
હરિયાણા પોલીસ પર પ્રશ્નો
કહેવાઇ રહ્યું છે, અશોકે પોલીસના દબાણ હેઠળ ગુનો કબૂલ્યો હતો, જ્યારે ખરેખર તેણે ગુનો કર્યો જ નહોતો. સીબીઆઇ તપાસમાં પ્રદ્યુમ્નની હત્યાનાો આરોપ શાળાના જ એક વિદ્યાર્થી પર જાય છે. આથી હવે આ કેસમાં તપાસના મામલે હરિયાણા પોલીસ પર પ્રશ્નો થઇ રહ્યાં છે. સીબીઆઇ દ્વારા રાયન સ્કૂલના ધો.11ના જે વિદ્યાર્થી પર આરોપ મુકવામાં આવ્યો છે, તેણે પોતાના પિતા તથા એક સ્વતંત્ર સાક્ષી સામે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. મૃતક પ્રદ્યુમ્નના પિતા વરુણ ઠાકુરનું કહેવું છે કે, આ મામલે સીબીઆઇ એ પિંટો પરિવારની પણ પૂછપરછ કરવી જોઇએ, કારણ કે તેઓ રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના સંસ્થાપક છે. સાથે જ તેમણે કહ્યું કે, 16 વર્ષના વિદ્યાર્થીને વયસ્કની માફક કોર્ટમાં રજૂ કરી સુનવણી થવી જોઇએ.