નવી દિલ્હી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર અમરિંદર સિંહે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. અમરિંદર સિંહે જણાવ્યું કે મોદી નરસંહાર માટે જવાબદાર છે. અમરિંદર અનુસાર મોદી જો સત્તામાં આવ્યા તો 6 મહીનાની અંદર રમખાણ થશે.
અમરિંદર સિંહે જણાવ્યું કે દેશમાં ક્યાંય પણ મોદીની લહેર નથી. અને પંજાબમાં મોદીને કોઇ જાણતું પણ નથી. અમરિંદર સિંહ અમૃતસરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે ભાજપના ઉમેદવાર અરૂણ જેટલી છે. બંને નેતાઓની વચ્ચે વાકયુદ્ધ પણ સતત ચાલુ છે. વાકયુદ્ધ ત્યારે વધી ગયું જ્યારે ભાજપે કોંગ્રેસના નેતા દ્વારા 1984ના શીખ વિરોધી રમખાણ મામલામાં જગદીશ ટાઇટલરને ક્લીન ચિટ આપવા પર સવાલ ઉઠાવ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે અમરિંદરે આ પહેલા જણાવ્યું હતું કે 'મે રમખાણગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે મને કોઇએ જગદીશ ટાઇટલરનું નામ આપ્યું નથી. બાદમાં વિપક્ષના નેતા અરુણ જેટલી દ્વારા તેમના આ નિવેદન પર પ્રહાર કરવામાં આવતા અમરિંદરે ફેરવી તોડતા મીડિયાને જણાવ્યું હતું કે મેં જગદીશ ટાઇટલરને ક્લીન ચિટ આપી જ નથી.'