ચિદમ્બરમનો PM પર પ્રહાર: જો ભજીયા વેચવા નોકરી હોય તો...
પીએમ મોદીના ભજીયાની લારીવાળા રોજગારી અંગેના નિવેદન પર પિ. ચિદમ્બરમનો પ્રહારતેમણે ટ્વીટ કરી મોદી સરકારને ગણાવી નિષ્ફળઆ અંગે વધુ વાંચો અહીં...
પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે રવિવારે રોજગાર સૃજનના મુદ્દે મોદી સરકારની નીતિઓની આલોચના કરી હતી. તેમણે ટ્વીટ કરતાં મોદી સરકાર પર નવા રોજગાર ઊભા કરવાના વાયદાને પૂર્ણ ન કરવાનો આરોપ મુક્યો છે. ચિદમ્બરમે કહ્યું કે, જો ભજીયા વેચવા નોકરી હોય, તો ભીખ માંગવાને પણ રોજગારના વિકલ્પ તરીકે જોવું જોઇએ. હવે એ ગરીબ અને અક્ષમ લોકોને પણ રોજગારના મેળવતા લોકોની સંખ્યામાં ગણવા જોઇએ, જેમને મજબૂરીમાં ભીખ માંગીને ગુજારો કરવો પડી રહ્યો છે. એક પછી એક કરવામાં આવેલ અનેક ટ્વીટ્સમાં ચિદમ્બરમે કહ્યું કે, સરકાર નોકરીઓની તક ઊભી કરવાના મામલે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઇ છે અને તેમને કોઇ સૂઝ નથી પડી રહી.
ચિદમ્બરમે મોદી સરકારને મનરેગા, મુદ્રા યોજના અને અન્ય યોજનાઓ દ્વારા રોજગારની તક ઊભી કરવામાં નિષ્ફળ ગણાવી. તેમણે ટ્વીટર પર આગળ લખ્યું કે, એક મંત્રીનું કહેવું છે કે મનરેગા વર્કર્સને પણ નોકરી કરવાવાળાઓમાં ગણવા જોઇએ. જો એ જોબ હોય તો શું માત્ર 100 દિવસ માટે છે અને બાકી 265 દિવસો તેમણે બેરોજગાર કેમ રહેવું પડે છે. ઉલ્લેખનીય છે કે, 19 જાન્યુઆરીના રોજ એક ટીવી ચેનલને આપવામાં આવેલ ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ સવાલ કરતા કહ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ ભજીયા વેચી સાંજે 200 રૂ. લઇને ઘરે પહોંચે તો એ રોજગાર ગણાય કે નહીં? તેમના આ નિવેદન બાદ પીએમ મોદીને વિપક્ષી પાર્ટીઓના નિશાના પર આવી ગયા છે.