મુઝફ્ફરનગર: રેલ દુર્ઘટના પાછળના કારણો, મુખ્ય વિગતો જાણો અહીં
પૂરી હરિદ્વાર કલિંગા ઉત્કલ એક્સપ્રેસ દુર્ઘટના અંગે વિગતવાર માહિતી મેળવો અહીં.
મુઝફ્ફરનગરના ખતૌલીમાં થયેલ રેલ દુર્ઘટનામાં 23 લોકોનું મૃત્યુ થયું હતું, પરંતુ આ ભીષણ દુર્ઘટનામાં 150થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. આ ઘટનાને કારણે રેલવે વિભાગનું ગેરજવાબદારીપૂર્ણ વર્તન સામે આવ્યું છે અને પોસ્ટમોર્ટમ હાઉસમાં પણ અવ્યવસ્થા જોવા મળી છે, જેને કારણે યાત્રીઓના પરિવારજનોનો રોષ ફાટી નીકળ્યો છે. અત્યાર સુધીની ખબર અનુસાર, પોસ્ટમોર્ટમ હાઉસની જે તસવીરો સામે આવી છે, જે ખૂબ શરમજનક છે. પોસ્ટમોર્ટમ હાઉસમાં શબોને એવી નીચે જમીન પર નાંખવામાં આવ્યા છે, જાણે એ કોઇ કચરો હોય. ત્યાંની પરિસ્થિતિ ખાસી ડરામણી હતી.
આ રેલ દુર્ઘટનાનું કારણ ટ્રેનની વધુ પડતી ઝડપ હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. એક વ્યક્તિગત ચેનલના રિપોર્ટરને સ્થાનિક લોકો સાથે વાત કરી હતી, જેમાં એ વાત સામે આવી છે કે ટ્રેક સામે કંઇ નહોતું, આ દુર્ઘટના વધુ પડતી ઝડપને કારણે થયો છે.
રેલવેના નિવૃત્ત અધિકારીઓ અનુસાર, રેલવેમાં ભારે સંખ્યામાં વર્કર્સની ખોટ છે. રેલવે દુર્ઘટનાઓ પાછળનું એક કારણ આ પણ છે. આઉટ ડેટેડ મટિરિયલથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. રેલવે દુર્ઘટનાઓનું એક કારણ 40 ટકા આઉટ ડેટેડ ટ્રેક છે. ઘણા એવા રૂટ છે, જેના ટ્રેકને મેઇન્ટેનન્સ કરીને ચલાવવામાં આવી રહ્યાં છે. ટ્રેક મેનથી લઇને યાર્ડ સ્ટાફ સુધીના 1 લાખ 80 હજાર પદ ખાલી છે. આ ઘટના બાદ દેહરાદૂન-સહારનપુર-દિલ્હી રૂટ પર અનેક ટ્રેનોને વિભિન્ન સ્ટેશન પર રોકી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, શનિવારે કલિંગ-ઉત્કલ એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, આ ટ્રેન પુરીથી હરિદ્વાર જઇ રહી હતી, ટ્રેન 9 વાગે હરિદ્વાર પહોંચવાની હતી. પરંતુ એ પહેલાં જ દુર્ઘટના થઇ હતી. પાટી પરથી ઉતરી ગયેલા ટ્રેનના ડબ્બા ટ્રેક પાસે બનેલ મકાનો અને શાળાઓમાં ઘુસી ગયા હતા.