India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 14,146 નવા કેસ નોંધાયા, 144 મોત
ભારતમાં કોરોના સંક્રમણના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન પણ 14 હજાર નવા કેસ નોંધાયા છે.
India Corona Update : ભારતમાં કોરોના સંક્રમણના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન પણ 14 હજાર નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ કુલ કેસની સંખ્યા વધીને 3 કરોડ 40 લાખ 67 હજાર 719 થઈ છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન 144 લોકોના મોત થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, સંક્રમણને કારણે વધુ 144 લોકોના મોત નોંધાયા બાદ મૃત્યુઆંક વધીને 4,52,124 થયો છે. દેશમાં સતત 22 મા દિવસે કોરોનાના દૈનિક કેસ 30 હજારથી ઓછા છે. દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા પણ ઘટીને 1,95,846 થઈ ગઈ છે, જે કુલ સંક્રમણના 0.57 ટકા છે. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 98.10 ટકા થયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કોવિડ -19 માટે કુલ 59 કરોડ 09 લાખ 35 હજાર 381 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી શનિવારના રોજ 11 લાખ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 34 લાખ લોકો કોરોનામુક્ત બન્યા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ 19 વિરોધી રસીઓના 101 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. તે જ સમયે, સંક્રમણનાં કુલ કેસ 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને વટાવી ગયા છે.
દેશમાં, આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને પાર કરી ગયા હતા, આ વર્ષે 4 મેના રોજ બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને પાર કરી ગયા હતા.