આવક વેરાની મુક્તિ મર્યાદા રૂપિયા 2 લાખથી વધારીને રૂપિયા 5 લાખ થઇ શકે
નવી દિલ્હી, 13 જૂન : નરેન્દ્ર મોદીની સરકાર આવકવેરા બાબતે એક સીમાચિન્હરૂપ આર્થિક સુધારો અપનાવે એવી ધારણા બાંધવામાં આવી રહી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રની એનડીએ સરકાર આગામી આર્થિક બજેટમાં આવકવેરામાં મુક્તિ મર્યાદા હાલના સ્લેબ બે લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવે એવી શક્યતા છે. આમ કરવામાં આવશે તો દેશના લાખો મધ્યમવર્ગીય પરિવારને રાહત મળશે.
આ સંદર્ભમાં નાણાં મંત્રાલયે ઈન્કમ ટેક્સ વિભાગ પાસેથી એક અહેવાલ પણ મગાવ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર હોમ લોન અને આરોગ્ય વીમા પ્રીમિયમ પરની કરવેરા મુક્તિ મર્યાદા વધારવા પણ વિચારી રહી છે.
નોકરિયાત વર્ગ માટે બીજા આનંદના સમાચાર એ પણ છે કે ઈપીએફમાં મર્યાદા વધારવાના પ્રસ્તાવનો અમલ શરૂ થવાનો છે. આ પ્રસ્તાવને તત્કાલીન યુપીએ સરકારે મંજૂરી આપી દીધી હતી પણ ચૂંટણીઓ નજીક આવી રહી હતી તેને પગલે તેનો અમલ ન થઈ શક્યો.
આ ફેરફારનો અમલ થશે તો હવેથી ફરજિયાત પીએફ સેવિંગની લિમિટ 6,500 રૂપિયા પ્રતિ માસ હતી તે વધીને 15,00 રૂપિયા થઇ જશે. યુપીએની ઈપીએફની યોજના અંતર્ગત દર મહિને ઓછામાં ઓછા 1,000 રૂપિયાનાં પેન્શનનું પણ વચન આપ્યું હતું.