ભારતે યુદ્ધ કર્યું તો એની હાર થશે', ચીનના સરકારી અખબારની ધમકી
ભારતે યુદ્ધ કર્યું તો એની હાર થશે', ચીનના સરકારી અખબારની ધમકી
ભારત અને ચીનની સૈન્ય વાટાઘાટ નિષ્ફળ ગયાના બીજા જ દિવસે ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સે' એક લેખમાં કહ્યું કે, જો ભારત ચીન સાથે યુદ્ધ શરૂ કરશે તો નિશ્ચિતપણે તેણે પરાજયનો સામનો કરવો પડશે.
ગ્લોબલ ટાઇમ્સના લેખમાં કહેવાયું છે કે, "ભારતે એ વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે તેને જે પ્રકારની સરહદ જોઈએ છે તે તેને મળી શકે તેમ જ નથી."
ચીની અખબારે તેની સરકારને ભારત સાથે ડીલ કરવા મામલે બે સૂચન પણ કર્યાં છે.
જેમાં પહેલા સૂચનમાં કહેવાયું છે કે, ભારત ગમે તેટલો પ્રયત્ન કરે, ચીનના વિસ્તારો ચીનના જ છે અને અને તેને ક્યારેય નહીં છોડવામાં આવશે. આથી ધીરજ રાખવી જોઈએ.
બીજી વાત એ છે કે બદલાતી પરિસ્થિતિને જોતાં ચીને દરેક પ્રકારના સૈન્યસંઘર્ષ માટે તૈયાર રહેવું જોઈએ પરંતુ શાંતિ જાળવી રાખવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ.
આ મામલે હજુ ભારતના વિદેશ મંત્રાલય તરફથી કોઈ પ્રતિક્રિયા કે નિવેદન નથી આવ્યાં.
સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટીને 4.35 ટકા : પાંચ માસના તળિયે
સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટીને 4.35 ટકા થયો છે તેમ સરકાર દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. વળી સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટીને પાંચ માસના તળિયે પહોંચી ગયો છે.
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર 'કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ' (સીપીઆઇ) સંબંધિત ફુગાવો ઑગસ્ટ, 2021માં 5.30 ટકા અને સપ્ટેમ્બર, 2020માં 7.27 ટકા હતો.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ(એનએસઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર સપ્ટેમ્બર, 2021માં ખાદ્યફુગાવો ઘટીને 0.68 ટકા થયો છે.
ઑગસ્ટ, 2021માં ખાદ્ય ફુગાવો 3.11 ટકા હતો.
આરબીઆઈના અંદાજ મુજબ સમગ્ર વર્ષ (2021-22)માં સીપીઆઈ આધારિત રિટેલ ફુગાવો 5.3 ટકા રહેશે.
તદુપરાંત ઑગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન વધીને 11.9 ટકા રહ્યું છે. મૅન્યુફેકચરિંગ, માઇનિંગ અને વીજ સૅક્ટરના સારા દેખાવને પગલે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે.
અહેવાલ અનુસાર ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થતા રિટેલ ફુગાવો ઘટ્યો છે.
ઍરલાઇન્સ કંપનીઓ હવે પૂરી ક્ષમતા સાથે ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ ઑપરેટ કરશે
દેશની તમામ ઍરલાઇન્સ કંપનીઓ હવે આગામી 18 ઑક્ટોબરથી વિમાનની સંપૂર્ણ બેઠક ક્ષમતા સાથે તમામ શહેરોમાં ડૉમેસ્ટિક ફ્લાઇટ ઊડાડી શકશે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ અનુસાર કેન્દ્રીય નાગરિક ઊડ્ડયન મંત્રાલયે હવાઈ મુસાફરી માટે લોકોમાં વધી રહેલી માગને ધ્યાનમાં રાખી આ જાહેરાત કરી છે.
દરમિયાન, દેશની તમામ ઍરલાઇન્સ કંપનીઓ ગત 18 સપ્ટેમ્બરથી વિમાનની 85 ટકા ક્ષમતા સાથે ડૉમેસ્ટિક ફ્લાઇટોનું સંચાલન કરી રહી હતી. આ કોવિડ પહેલાંની ક્ષમતા હતી.
12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર વચ્ચે ઍરલાઇન્સ કંપનીઓનાં વિમાનોએ 72.5 ટકાની ક્ષમતા સાથે ઊડાણો ભરી હતી.
મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું હતું કે આગામી 18 ઑક્ટોબરથી દેશની બધી જ ઍરલાઇન્સ કંપનીઓના શિડયૂલ્ડ ઍર ઑપરેશનને કોઈ પણ જાતની ક્ષમતાની મર્યાદા વિના સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવે છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો