ઉઝબેકિસ્તાનમાં ભારતીય કફ સિરપથી મોત મુદ્દે ભારત સરકારનું મોટુ નિવેદન, જાણો શું કહ્યું?
કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન 27 ડિસેમ્બરથી ઉઝબેકિસ્તાનના નેશનલ ડ્રગ રેગ્યુલેટર સાથે સંપર્કમાં છે.
નવી દિલ્હી : પહેલા ગામ્બિયા અને હવે ઉજબેકિસ્તાનમાં ભારતીય દવાથી બાળકોના મોતને લઈને મોટો વિવાદ થયો છે. ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે ભારતીય કફ સિરપ પીધા બાદ બાળકોના મોત થયા છે. હવે આ મામલે ભારત સરકારની પ્રતિક્રિયા સામે આવી છે.
ભારતીય દવાના કારણે મોતને લઈને વિવાદ વધી રહ્યો છે ત્યારે કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન 27 ડિસેમ્બરથી ઉઝબેકિસ્તાનના નેશનલ ડ્રગ રેગ્યુલેટર સાથે સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉઝબેકિસ્તાનમાં ડોક-1 મેક્સ સિરપ આપ્યા બાદ બાળકોના મોત થયા છે. ડોક-1 મેક્સ સીરપ ભારતમાં મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવે છે. આ કફ સિરપ છે.
તેમણે આગળ કહ્યું કે, દવાના નમૂના ચંદીગઢની પ્રાદેશિક દવા પરીક્ષણ પ્રયોગશાળામાં મોકલાયા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, કફ સિરપ ઉત્તર પ્રદેશના નોયડામાં આવેલી ભારતીય બાયોટેક કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવે છે. CDSCO આ સંદર્ભમાં ઉઝબેકિસ્તાનના અહેવાલો અંગે 27 ડિસેમ્બરથી ઉઝબેકિસ્તાનના નેશનલ ડ્રગ રેગ્યુલેટર સાથે નિયમિત સંપર્કમાં છે.
મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે, સીડીએસસીઓ અને યુપી ડ્રગ કંટ્રોલની એક-એક ટીમે મેરિયન બાયોટેકની નોઇડા સ્થિત સુવિધાનું સંયુક્ત નિરીક્ષણ કર્યું. અહીં દવાનું ઉત્પાદન થાય છે. કેન્દ્ર પાસેથી નિરીક્ષણ અહેવાલ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકાના દેશ ગામ્બિયામાં 4 કફ સિરપથી 66 બાળકોના મોત બાદ હવે ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ઉત્પાદિત દવાઓનું સેવન કરવાથી દેશમાં 18 બાળકોના મોત થયા છે. ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું તું કે 21 બાળકોમાંથી 18 તીવ્ર શ્વાસોચ્છવાસની બિમારી સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ડોક-1 મેક્સ સિરપ લીધા પછી મૃત્યુ પામ્યા હતા.